Rohit Sharma talks about his Experience in Test Cricket: ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેનાર રોહિત શર્માએ આ ફોર્મેટ વિશે પોતાના અનુભવો શૅર કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ અત્યંત પડકારજનક અને માનસિક અને શારીરિક રીતે થકવી દેનાર છે.
રોહિત શર્મા સીએટ ટાયર્સની ઇવેન્ટમાં (તસવીર સૌજન્ય: પીટીઆઇ)
આ વર્ષની શરૂઆતમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેનાર ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્માએ આ ફોર્મેટ વિશે પોતાના અનુભવો શૅર કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ અત્યંત પડકારજનક અને માનસિક અને શારીરિક રીતે થકવી દેનાર છે. લાંબા સમય સુધી ચાલતી મેચોમાં સતત એકાગ્રતા જાળવવી અને સારું પ્રદર્શન કરવું સરળ નથી. રોહિતે કહ્યું હતું કે આ મુશ્કેલીઓનો સામનો કરવા માટે તેણે સખત મહેનત કરી હતી અને દરેક મેચ માટે ગંભીર તૈયારી પર ખાસ ધ્યાન આપ્યું હતું.
૩૮ વર્ષીય રોહિત શર્માએ પોતાના ટેસ્ટ કરિયરમાં ૬૭ ટેસ્ટ મેચોમાં ૪૦.૫૮ની એવરેજથી કુલ ૪૩૦૧ રન બનાવ્યા હતા. ટી૨૦ વર્લ્ડ કપ જીત્યા પછી તેણે ટી૨૦ ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી અને ત્યારબાદ મે મહિનામાં ટેસ્ટ ફોર્મેટને પણ અલવિદા કહ્યું હતું. સોમવારે મુંબઈમાં યોજાયેલી સીએટ ટાયર્સની એક ઇવેન્ટ દરમ્યાન પેનલ ડિસ્કશન દરમિયાન રોહિતે પોતાના અનુભવો શૅર કર્યા હતા. તેણે કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય સુધી ટકી રહેવું સૌથી મોટી કસોટી છે, અને તેની માટે યોગ્ય તૈયારીઓ તથા સતત મહેનત જરૂરી છે. રોહિતે આગળ ઉમેર્યું હતું કે જ્યારે તેણે સ્પર્ધાત્મક ક્રિકેટ રમવાની શરૂઆત કરી, ત્યારે મુંબઈમાં યોજાતી ક્લબ ક્રિકેટની મૅચો, જે બે થી ત્રણ દિવસ ચાલતી, તેમાં રમવાનો અનુભવ તેને ખૂબ મદદરૂપ રહ્યો હતો. આ અનુભવને કારણે તેને દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો તુલનાત્મક રીતે વધુ સરળ લાગ્યો હતો.
ADVERTISEMENT
રોહિતે વધુમાં જણાવ્યું હતું કે આજકાલના ઘણા યુવા ખેલાડીઓ તેમની કારકિર્દીની શરૂઆતમાં સારી તૈયારીના મહત્ત્વને પૂરતું સમજતા નથી. શરૂઆતમાં તેઓ તૈયારીઓ પ્રત્યે ગંભીરતા દાખવતા નથી, પરંતુ સમય જતાં તેમને તેની કિંમત અને જરૂરીયાત સમજાય છે. રોહિતે ભારપૂર્વક કહ્યું કે ક્રિકેટ હોય કે જીવનનું કોઈપણ ક્ષેત્ર, સફળ થવા માટે યોગ્ય અને આયોજનબદ્ધ તૈયારી અત્યંત જરૂરી છે.
તાજેતરમાં, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ રાહુલ દ્રવિડે ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન રોહિત શર્માની નેતૃત્વ-ક્ષમતાની પ્રશંસા કરી હતી. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિનના પૉડકાસ્ટમાં તેણે કહ્યું કે ‘મારા કોચિંગકાળમાં રોહિત શર્મા સૌપ્રથમ ટીમની ખૂબ કાળજી રાખતો હતો અને તે પહેલા દિવસથી જ ખૂબ સ્પષ્ટ હતો કે તે ટીમ કેવી રીતે ચલાવવા માગે છે અને તેના માટે શું મહત્ત્વનું છે. કૅપ્ટન અને કોચ સાથેના કોઈ પણ સંબંધમાં તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’
રાહુલે વધુમાં કહ્યું કે ‘તે ટીમ પાસેથી શું ઇચ્છે છે, તે કેવા પ્રકારનું વાતાવરણ ઇચ્છે છે, તે વસ્તુઓ કેવી રીતે ચલાવવા માગે છે એ વિશે ખૂબ જ સ્પષ્ટ હતો. મને લાગે છે કે તેની પાસે વર્ષોથી ઘણો અનુભવ હતો જેનાથી તેને ખરેખર મદદ મળી. તે આ બાબતો વિશે ખૂબ જ સ્પષ્ટ હતો. મને બીજા બધા કરતાં તેની સાથે કામ કરવાની ખરેખર મજા આવી. તેની સૌથી મોટી તાકાત પ્લેયર્સ સાથે ઇમોશનલ રીતે જોડાવાની તેની ક્ષમતા છે.’

