વૈભવ સૂર્યવંશીનું બૅટિંગ-પ્રદર્શન અદ્ભુત રહ્યું છે. તે ખરેખર ટીમ ઇન્ડિયા માટે સૌથી નાની ઉંમરે ડેબ્યુ કરવા માટે હકદાર છે. - IPL ચૅરમૅન અરુણ ધુમલ
વિરાટ કોહલીએ બાઉન્ડરી પર કૅચ પકડીને વૈભવ સૂર્યવંશીની તોફાની ઇનિંગ્સ રોકી હતી.
ગુવાહાટીમાં શુક્રવારે વરસાદથી પ્રભાવિત મૅચમાં ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી વિરાટ કોહલીની ટીમ સામે શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ૩૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૨૬ બૉલમાં ૮ ફોર અને ૭ સિક્સર ફટકારીને ૭૮ રન ઝૂડી દીધા હતા. સ્પિનર કૃણાલ પંડ્યાની ઓવરમાં તે વિરાટ કોહલીના હાથે કૅચઆઉટ થયો હતો. ગુવાહાટીમાં જ વૈભવ સૂર્યવંશીએ ચેન્નઈની જેમ બૅન્ગલોર સામે પણ ૧૫ બૉલની ફિફ્ટી ફટકારી હતી. ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી ૧૫ બૉલમાં બે IPL ફિફ્ટી ફટકારનાર પહેલો ભારતીય બન્યો છે. અગાઉ ૨૦૨૪માં દિલ્હી કૅપિટલ્સ માટે ઑસ્ટ્રેલિયાનો જૅક ફ્રેઝર-મૅકગર્ક આ કમાલ કરી ચૂક્યો છે.
IPLમાં હાઇએસ્ટ 7 વખત પંજાબની જેમ ૨૦૦+નો ટાર્ગેટ ડિફેન્ડ ન કરી શક્યું બૅન્ગલોર.
ADVERTISEMENT
૧૦૦ રનની અંદર ૬ વિકેટ ગુમાવ્યા બાદ હાઇએસ્ટ સ્કોર કર્યો બૅન્ગલોરે
૧૧ ઓવરમાં ૯૪ રનના સ્કોર પર બૅન્ગલોરે ૬ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે રજત પાટીદારની ફિફ્ટીને આધારે આ ટીમે ૯૪/૬નો સ્કોર ૨૦૧/૮ સુધી પહોંચાડ્યો હતો. પહેલી વખત ૧૦૦ રનની અંદર ૬ વિકેટ ગુમાવ્યા બાદ કોઈ ટીમે ૨૦૦ રનનો હાઇએસ્ટ આંકડો પાર કર્યો હતો. અગાઉ ૨૦૨૪માં પંજાબ કિંગ્સે ૭૭ રનમાં ૬ વિકેટ ગુમાવ્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સ સામે હાઇએસ્ટ ૧૮૩ રન કર્યા હતા.
બૅન્ગલોરનો વિજયરથ અટક્યો
જીતનો ચોગ્ગો ફટકારીને રાજસ્થાને બૅન્ગલોરનો વિજયરથ અટકાવ્યો હતો. વર્તમાન સીઝનની પહેલી બન્ને મૅચ જીતનાર બૅન્ગલોરને પૉઇન્ટ-ટેબલની ટૉપની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો એના કારણે હરીફ ટીમના મેદાન પર જીતનો સિલસિલો પણ અટક્યો હતો. આ ટીમ છેલ્લે ૨૦૨૪માં ઈડન ગાર્ડન્સમાં કલકત્તા ટીમ સામે એમના મેદાન પર મૅચ હારી હતી. કૅપ્ટન રજત પાટીદારની આગેવાનીમાં બૅન્ગલોરનો છેલ્લી સીઝનથી હમણાં સુધી સતત ૮ મૅચ જીતવાનો સિલસિલો અહીં તૂટ્યો હતો.
વૈભવ સૂર્યવંશીનું બૅટિંગ-પ્રદર્શન અદ્ભુત રહ્યું છે. તે ખરેખર ટીમ ઇન્ડિયા માટે સૌથી નાની ઉંમરે ડેબ્યુ કરવા માટે હકદાર છે. - IPL ચૅરમૅન અરુણ ધુમલ
અનિલ કુંબલેએ વૈભવ સૂર્યવંશીને ભારતીય ટીમમાં સમાવવા બાબતે ધીરજ રાખવાની વિનંતી કરી
ભારતના હાઇએસ્ટ વિકેટટેકર અનિલ કુંબલેએ ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશી વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલેએ વૈભવ સૂર્યવંશીના ઇન્ડિયા કૉલ-અપ પર વધારે ઉતાવળ ન કરવાની વિનંતી કરી છે. ૧૫ વર્ષનો થયેલો વૈભવ સૂર્યવંશી હવે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવા માટે એલિજિબલ છે. અનિલ કુંબલેએ કહ્યું હતું કે ‘અસાધારણ પ્રતિભા ધરાવતા ખેલાડીને રોકવો મુશ્કેલ છે. શરૂઆતની અપેક્ષાઓ પણ યુવાન ખેલાડી પર અનુચિત પ્રેશર લાવી શકે છે. વૈભવ હમણાં બધું બરાબર કરી રહ્યો છે. સમય સંપૂર્ણપણે તેના પક્ષમાં છે. ક્રિકેટમાં સફળતાનો કોઈ નિશ્ચિત માર્ગ નથી. ખેલાડી પોતાની કરીઅરના કોઈ પણ તબક્કામાં ઊભરી શકે છે અને હજી પણ નોંધપાત્ર યોગદાન આપી શકે છે. તે ચોક્કસપણે એક એવો ખેલાડી છે જેના પર પસંદગીકારો નજીકથી નજર રાખશે.’
