બંગલાદેશનો સ્ટાર ઑલરાઉન્ડર શાકિબ અલ-હસન સુરક્ષાની ખાતરી મળ્યા બાદ દેશમાં પરત ફરવા અને કોર્ટ કેસનો સામનો કરવા તૈયાર છે. તેણે કહ્યું કે તેના પર લાગેલો કેસ હાસ્યાસ્પદ છે.
શાકિબ અલ હસન
બંગલાદેશના સ્પિન ઑલરાઉન્ડર શાકિબ અલ-હસને દેશમાં પાછા આવવા માટે તૈયારી દર્શાવી છે. ઑક્ટોબર ૨૦૨૪માં ભારત સામે ટેસ્ટ-મૅચ તરીકે શાકિબ અલ-હસન છેલ્લી વખત બંગલાદેશ માટે રમી શક્યો હતો. બંગલાદેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ વચ્ચે ૨૦૨૪થી બંગલાદેશ ગયો નથી અને વિદેશમાં રહીને વિવિધ T20 ટુર્નામેન્ટમાં ભાગ લે છે.
૩૯ વર્ષનો શાકિબ અલ-હસન કહે છે કે ‘જો મને સરકાર તરફથી મારી સલામતીની ખાતરી આપવામાં આવે તો હું પાછો જવા અને કોર્ટ કેસનો સામનો કરવા તૈયાર છું. જે જરૂરી હોય એ કરવા માટે ખુશ થઈશ. મને ખબર છે કે મેં કંઈ કર્યું નથી. આ એક હાસ્યાસ્પદ કેસ છે.’
બે વર્ષ પહેલાં બંગલાદેશમાં થયેલાં વિરોધ-પ્રદર્શનો સાથે જોડાયેલા કથિત હત્યાઓના કેસમાં ૧૪૭ આરોપીઓમાં શાકિબ અલ-હસનનું નામ પણ છે. તે બંગલાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગનો ભૂતપૂર્વ સંસદસભ્ય પણ છે.
શાકિબ અલ-હસન વધુમાં કહે છે, ‘હું હજુ પણ રમતનો આનંદ માણી રહ્યો છું અને સારું રમી રહ્યો છું, પરંતુ ઉંમર અત્યારે મારા પક્ષમાં નથી તેથી હું દેશ માટે રમતા રહેવાની રાહ ન જોઈ શકું.’
