દિલ્હીમાં ક્રિકેટ ઍકૅડેમીના ઉદ્ઘાટન સમારોહમાં વિરાટ કોહલીનો વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ...
બાળપણના કોચ રાજકુમાર શર્મા અને દિલ્હીનાં ક્રિકેટ અસોસિએશનનાં પ્રમુખ રોહન જેટલીની હાજરીમાં ક્રિકેટ એકેડેમીનું ઉદ્ઘાટન કરતો વિરાટ કોહલી
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો સૌથી અનુભવી પ્લેયર વિરાટ કોહલી ગઈ કાલે ક્રિકેટ ઍકૅડેમીના ઉદ્દઘાટન સમારોહમાં પહોંચ્યો હતો. દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે આ ઍકૅડેમીની શરૂઆત કરાવવા દરમ્યાન તેની સાથે સ્ટેજ પર બાળપણના કોચ રાજકુમાર શર્મા અને દિલ્હીના ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ રોહન જેટલી પણ હાજર હતા.
૩૭ વર્ષના વિરાટ કોહલીએ વિદ્યાર્થીઓ સામે સ્પીચ આપતી વખતે કહ્યું કે ‘મને સ્કૂલોના કાર્યક્રમોમાં બોલવાની આદત નથી તેથી આ મારા માટે થોડું અજીબ હશે, કારણ કે હું ઘણા સમય પહેલાં ક્રિકેટ માટે શાળાના સેટઅપથી દૂર ગયો હતો. હંમેશાં સ્કૂલના વાતાવરણ અને શિક્ષકોને આદર આપો. અહીંથી જ તમે સારું શીખો છે અને સારા માણસ બનો છો.’
IPLમાં નવ હજાર રન કરનાર પહેલા બૅટર બનવાની સિદ્ધિ મેળવનાર વિરાટ કોહલીએ વધુમાં કહ્યું કે ‘તમારાં સપનાંઓ સાથે, તમે શું કરવા માગો છો એ વિશે પ્રામાણિક બનો અને સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે એ સ્વપ્નને અનુસરો. ફક્ત તમને જ ખબર પડશે કે તમે ૧૦૦ ટકા પ્રામાણિક છો કે નહીં. મેં આઠ વર્ષનો હતો ત્યારે ક્રિકેટની પ્રૅક્ટિસ શરૂ કરી હતી અને હજુ પણ જ્યારે મને સમય મળે છે ત્યારે હું ઍકૅડેમીમાં આવું છું.’
