આસામમાં આવેલા વિનાશક પૂરના કારણે લાખો લોકો મુશ્કેલીમાં છે. આ સંકટ વચ્ચે અનુપમ ખેરે આસામના મુખ્ય પ્રધાન રાહત કોષમાં પાંચ લાખ રૂપિયાનું દાન કર્યું હોવાના અહેવાલ છે અને લોકોને પણ પોતાની ક્ષમતા મુજબ રાહતકાર્યમાં મદદ કરવા અપીલ કરી છે.
અનુપમ ખેર
આસામમાં હાલ સ્થિતિ અત્યંત ગંભીર છે. પૂરના કારણે લાખો લોકોનું જીવન પ્રભાવિત થયું છે અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સંકટના સમયમાં લોકોને મદદ કરવા માટે અનુપમ ખેરે આસામના મુખ્ય પ્રધાન રાહત કોષમાં પાંચ લાખ રૂપિયાનું દાન કર્યું હોવાના રિપોર્ટ છે.
અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને કહ્યું હતું કે ‘આ વિનાશક પૂરની તસવીરો જોઈને મને અંદરથી ખૂબ દુઃખ થઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા અને ટીવી પર જોવા મળતાં દૃશ્યોને શબ્દોમાં વ્યક્ત કરવા મુશ્કેલ છે. અનેક લોકોએ પોતાના સ્વજનો અને ઘર ગુમાવ્યાં છે, જ્યારે અનેક બાળકો અને વૃદ્ધોને ખુલ્લા આકાશ નીચે રહેવાની ફરજ પડી છે. પૂરના કારણે સંઘર્ષ કરી રહેલાં પ્રાણીઓને જોઈને મને સૌથી વધુ દુઃખ થઈ રહ્યું છે. જ્યારે પ્રકૃતિ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે આપણને અહેસાસ થાય છે કે આપણે કેટલા લાચાર છીએ. આસામની સ્થિતિ જોઈને મને પણ એવો જ અનુભવ થઈ રહ્યો છે અને આવા મુશ્કેલ સમયમાં આપણે શું કરી શકીએ એ વિચાર આવે છે. જોકે જો આપણે બધા પોતાની ક્ષમતા અનુસાર મદદ માટે આગળ આવીએ તો કદાચ અનેક લોકોનું જીવન થોડું સરળ બની શકે છે. આપણી મદદથી કોઈ બાળકમાં આશા જાગી શકે છે અને કોઈ માતાને એ શક્તિ મળી શકે છે કે તે એકલી નથી.’ અનુપમ ખેરે આસામની સ્થિતિ વહેલી તકે સામાન્ય થાય એવી પ્રાર્થના કરી હતી અને પોતાના તરફથી મદદની સંપૂર્ણ કોશિશ કરવાની વાત કહી હતી. તેમણે લોકોને પણ રાહતકાર્યમાં યોગદાન આપવા અપીલ કરી અને કહ્યું કે મદદનું મૂલ્ય પૈસાથી નહીં પણ ઇરાદાથી નક્કી થાય છે.
