અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર નેપાલની વિનાશક કુદરતી આપત્તિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું, હું આશા રાખું છું કે આખી દુનિયા પોતાની ક્ષમતા મુજબની મદદ સાથે એક થઈને નેપાલના પડખે ઊભી રહે
હું આશા રાખું છું કે આખી દુનિયા પોતાની ક્ષમતા મુજબની મદદ સાથે એક થઈને નેપાલના પડખે ઊભી રહે
નેપાલમાં અચાનક આવેલા ભયાનક પૂરે ભારે તબાહી મચાવી છે. હજારો લોકો હજુ પણ ગુમ હોવાની આશંકા વચ્ચે બચાવ-અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ સંજોગોમાં અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર એક ભાવુક વિડિયો અને સંદેશ શૅર કરીને નેપાલની દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
અનુપમ ખેરે પોતાના સંદેશમાં લખ્યું હતું કે ‘નેપાલમાં આવેલા અચાનક પૂરના કારણે થયેલી વિનાશકારી તબાહી જોઈને હું અત્યંત દુઃખી અને સ્તબ્ધ છું. અસંખ્ય જીવ ગુમાવાયા, પરિવારો વિખૂટા પડી ગયા, ઘરો પાણીમાં તણાઈ ગયાં અને નિર્દોષ પ્રાણીઓ પણ આ વિનાશનો ભોગ બન્યા. માત્ર થોડી જ ક્ષણોમાં કોઈ વ્યક્તિનું આખું જીવન અને પોતાની કહેવાતી દરેક વસ્તુ ગાયબ થઈ જાય એની કલ્પના પણ હૃદય તોડી નાખે તેવી છે.
આ દૃશ્યો જોઈને હું ખૂબ લાચારી અનુભવું છું. જેણે પોતાના સ્વજનને ગુમાવ્યા હોય તેને કયા શબ્દો સાંત્વન આપી શકે? મારું હૃદય શોકગ્રસ્ત પરિવારો અને ભય તથા અનિશ્ચિતતા વચ્ચે જીવતા દરેક વ્યક્તિ સાથે છે. હું નેપાલના લોકો માટે અને સરહદ પાર તિબેટમાં અસરગ્રસ્ત તમામ લોકો માટે પ્રાર્થના કરું છું. જે લોકો હજુ મદદની રાહ જોઈ રહ્યા છે તેમના સુધી વહેલી તકે સહાય પહોંચે. જે પોતાના સ્વજનોને શોધી રહ્યા છે તેઓ તેમને સુરક્ષિત મળી આવે. જેમણે બધું ગુમાવ્યું છે તેમને સહારો, આશ્રય અને પકડી રાખવા માટે કોઈ પ્રેમાળ હાથ મળે. હું આશા રાખું છું કે આખી દુનિયા પોતાની ક્ષમતા મુજબની મદદ સાથે એક થઈને નેપાલના પડખે ઊભી રહે. આ અકલ્પનીય દુઃખની ઘડીમાં આપણે એટલું જરૂર સુનિશ્ચિત કરીએ કે તેઓ ક્યારેય એકલા હોવાનો અહેસાસ ન કરે.’
