અરિજિત દરેક ટેક વખતે ગીતના આધ્યાત્મિક ભાવને અનુભવી રહ્યો હતો
અરિજિત સિંહ
દિવાળી વખતે રિલીઝ થનારી નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી ‘રામાયણ’નું પ્રથમ ગીત ‘જય જય રામ’ તાજેતરમાં રિલીઝ થયું છે. શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંહના અવાજમાં રજૂ થયેલું આ ભક્તિગીત રિલીઝ થતાં જ સોશ્યલ મીડિયા પર છવાઈ ગયું છે અને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હવે આ ગીત સાથે જોડાયેલી એક રસપ્રદ માહિતી સામે આવી છે. ફિલ્મ સાથે જોડાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે અરિજિતે ‘જય જય રામ’ના રેકૉર્ડિંગ દરમ્યાન ૨૦૦થી વધુ ટેક આપ્યા હતા.
અરિજિતના આટલા બધા ટેક થવાનું કારણ જણાવતાં ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘વારંવાર ટેક થવાનું કારણ કોઈ ટેક્નિકલ ભૂલ નહોતી પણ અરિજિત ગીતના ભાવમાં એટલો ડૂબી જતો હતો કે એમાંથી બહાર આવવા જ નહોતો માગતો. અરિજિત દરેક ટેક વખતે ગીતના આધ્યાત્મિક ભાવને અનુભવી રહ્યો હતો. તે ભગવાન શ્રીરામ પ્રત્યેની ભક્તિ અને લાગણીને એટલી ઊંડાઈથી જીવી રહ્યો હતો કે વારંવાર ફરી ગાવા છતાં ગીતમાંથી બહાર આવવા માગતો નહોતો. અંતે તેણે ટેક્નિકલ બારીકીઓ કરતાં ભાવનાને વધુ મહત્ત્વ આપીને ગીતને પોતાનામાં સમાવી લીધું હતું.’
