કિઆરા અડવાણીએ કહે છે કે તે તેની દીકરીને જિજ્ઞાસુ અને કૉન્ફિડન્ટ બનાવવા ઇચ્છે છે
હું બિલકુલ નથી ઇચ્છતી કે મારી દીકરી મારા જેવી પીપલ-પ્લીઝર બને
કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ગયા વર્ષે દીકરી સરાયાહ મલ્હોત્રાના પેરન્ટ્સ બન્યાં છે. તાજેતરમાં કિઆરાએ દીકરીના ભવિષ્ય વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. કિઆરાએ જણાવ્યું કે તે નથી ઇચ્છતી કે તેની દીકરી બીજા લોકોને ખુશ કરવા માટે જીવતી વ્યક્તિ બને, કારણ કે ઘરમાં મળતી ભાવનાત્મક સુરક્ષા ક્યારેક બાળકોમાં એવી આદતો વિકસાવે છે.
કિઆરાએ સ્વીકાર્યું કે સ્ટારડમ મેળવ્યા પછી પણ તે આજે પોતાનાં મમ્મી-પપ્પાની પ્રશંસા અને સ્વીકૃતિની અપેક્ષા રાખે છે. કિઆરાએ કહ્યું, ‘આજે પણ દુનિયાભરની પ્રશંસા એક અલગ બાબત છે, પરંતુ પોતાનાં મમ્મી-પપ્પાની પ્રશંસા સંપૂર્ણપણે અલગ અનુભવ હોય છે. તેમણે ક્યારેય મારા પર દબાણ કર્યું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે હંમેશાં તેમને ગર્વની લાગણીનો અહેસાસ કરાવવા માગો છો. મને લાગે છે કે જ્યારે ઘરમાં ખૂબ પ્રેમ અને સુરક્ષા મળે છે ત્યારે બાળકો સ્વાભાવિક રીતે પોતાનાં માતા-પિતાને નિરાશ કરવા માગતાં નથી. તમે તેમની પ્રશંસા અને મંજૂરી ઇચ્છો છો. જોકે આ બાબત અંગે જાગૃત રહેવું પણ જરૂરી છે, કારણ કે ક્યારેક આવી આદતો બીજાને ખુશ કરવાની આદતમાં ફેરવાઈ શકે છે. હું નથી ઇચ્છતી કે મારી દીકરી એવી બને. હું બિલકુલ નથી ઇચ્છતી કે તે મારા જેવી બીજાને ખુશ કરવા માટે જીવતી ‘પીપલ-પ્લીઝર’ બને. હું ઇચ્છું છું કે તે જિજ્ઞાસુ, અવલોકનશીલ, પ્રેમાળ અને એટલી આત્મવિશ્વાસી બને કે પોતાના નિર્ણયો પોતે લઈ શકે.’
