Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > નિઃસ્વાર્થ પ્રેમ કરતાં માબાપ જો જીવનભર સાથે નથી રહેવાનાં તો બીજા સુખ માટે શું ભાગવાનું?

નિઃસ્વાર્થ પ્રેમ કરતાં માબાપ જો જીવનભર સાથે નથી રહેવાનાં તો બીજા સુખ માટે શું ભાગવાનું?

Published : 01 June, 2025 03:08 PM | Modified : 02 June, 2025 07:01 AM | IST | Vrindavan
Rashmin Shah | rashmin.shah@mid-day.com

શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના જીવનને જો તમે નજીકથી જુઓ તો એટલું ચોક્કસ સ્વીકારો કે ઈશ્વર પર શ્રદ્ધા હોય તો કંઈ અઘરું નથી, કંઈ અશક્ય કે અસંભવ નથી

શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજ

શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજ


બસ, આ એક વિચારે અનિરુદ્ધ પાંડેનું જીવન બદલી નાખ્યું અને જગતને પ્રેમાનંદજી મળ્યા : વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવા સેલિબ્રિટીઝથી માંડીને સોશ્યલ મીડિયામાંં જબરદસ્ત પૉપ્યુલર થયેલા શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના જીવનને જો તમે નજીકથી જુઓ તો એટલું ચોક્કસ સ્વીકારો કે ઈશ્વર પર શ્રદ્ધા હોય તો કંઈ અઘરું નથી, કંઈ અશક્ય કે અસંભવ નથી


વધેલા વાળને એક કરી મસ્તક પર બનાવેલી ગોળ જટા. લલાટ પર ચંદનનો લેપ. આજ્ઞાચક્રનું સ્થાન એકદમ સાફ અને આજ્ઞાચક્ર પર રાણીછાપ એક રૂપિયાની સિક્કાની સાઇઝનું કેસરનું તિલક. વર્ષોથી નહીં ઊતરાવેલી લાંબી દાઢી અને એ દાઢીને મારવામાં આવેલી એક ગાંઠ. આ શબ્દચિત્ર છે ભારતીય હિન્દુ સંત પ્રેમાનંદ ગોવિંદ શરણનું. વિરાટ કોહલીથી માંડીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોહન ભાગવત જેવી દેશની અનેક સેલિબ્રિટીઝ જેમનાં દર્શન કરીને પોતાની જાતને ધન્ય અનુભવે છે એ પ્રેમાનંદજીનું જીવન તમે નજીકથી જુઓ તો તમને સ્પષ્ટ દેખાય કે સંતત્વની વ્યાખ્યા આ જ હોય અને જો આ પ્રકારના સંતની સંખ્યા દેશમાં વધી જાય તો આધ્યાત્મિકતાની બાબતમાં દેશ વૈશ્વિક સ્તર પર એક નવી જ ઊંચાઈ પ્રાપ્ત કરે. પ્રેમાનંદજી કહે છે, ‘સંસાર અસાર છે જ નહીં. એને અસાર કહેનારાને સંસારને જોતાં નથી આવડ્યું એવું માનવું. બાકી આ સંસાર તો ઈશ્વરની પ્રસાદી છે, એનો આનંદ ન લેવો એ ઈશ્વરનું અપમાન છે.’



એક સાવ સહજ કહેવાય એવો પ્રશ્ન પ્રેમાનંદજીના મનમાં આવ્યો અને પ્રેમાનંદજીની આધ્યાત્મિકતાની દુનિયા ખૂલી. કયો હતો એ સવાલ અને એ સવાલે પ્રેમાનંદજીની દુનિયામાં કેવો બદલાવ લાવવાનું કામ કર્યું એ જાણવા માટે ફ્લૅશબૅકમાં જઈને પ્રેમાનંદજીનું જીવન જોવું પડે.


માનો જલારામનું જીવન...

વાતનું પોત પાથરતાં પહેલાં સ્પષ્ટતા કે સમજવામાં સરળતા રહે એટલા માટે આ સરખામણી કરી છે. જે પ્રકારે જલારામબાપાને નાનપણથી જ પ્રભુભક્તિની લગની લાગી હતી એવું જ પ્રેમાનંદજીના જીવનમાં પણ બન્યું છે.


૧૯૬૯ની વાત છે. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના સરસૌલ તાલુકના અખરી નામના ગામમાં રહેતાં શંભુ પાંડે અને રમાદેવીને ત્યાં ૩૦ માર્ચે બીજા દીકરાનો જન્મ થયો અને દીકરાનું નામ રાખ્યું અનિરુદ્ધ. આ નામ બીજા કોઈએ નહીં પણ સંસાર છોડી દીક્ષાર્થી બની ગયેલા શંભુ પાંડેના પિતાજીએ રાખ્યું હતું. એ જોગાનુજોગ જ હતો કે ઘર છોડીને દસકાઓથી નીકળી ગયેલા શંભુ પાંડેના સંન્યાસી પિતા એ દિવસે અખરીમાં હતા.

શંભુ પાંડેને કુલ ત્રણ દીકરા, જેમાં અનિરુદ્ધ બીજા નંબરે. નાનપણથી જ ઘરમાં સાધુસંતોની અવરજવર રહે. પહેલું ભોજન જો સાધુસંતોને કરાવવામાં આવે તો આખો પરિવાર ભાવવિભોર થઈ જાય અને જે દિવસે સાધુસંત દરવાજે ન આવ્યા હોય એ દિવસ પાંડે પરિવાર માટે અમાસસમો અશુભ બની જાય.

શ્રીમદ્ ભાગવતનું પઠન આખા પરિવાર માટે અનિવાર્ય ગણાય અને એટલે જ અનિરુદ્ધ લખતાં-વાંચતાં શીખ્યો ત્યાં સુધીમાં તો ભાગવત તેને કંઠસ્થ થઈ ગઈ એટલું જ નહીં, ચાલીસાઓ પણ તેને કડકડાટ આવડે. વરસાદી સાંજે ગામના પાદરે બેસીને બાળ-અનિરુદ્ધ વડીલોને ભાગવતના પાઠ સંભળાવે અને આરતી સમયે દોડતા મંદિરમાં જઈને પોતાના બુલંદ અવાજમાં આરતીનું પઠન પણ કરે. માબાપ આ બધું જોઈને રાજી-રાજી, પણ તેમને ક્યાં ખબર હતી કે દીકરાની આ તમામ ગતિવિધિ તેના જીવનને એક એવી દિશામાં લઈ જઈ રહી છે જ્યાં ઈશ્વરથી આગળ કશું તેને દેખાવાનું નથી.

૧૩ વર્ષની ઉંમરે ઘરને તિલાંજલિ

સ્કૂલમાં ભણતો અનિરુદ્ધ સરસ માર્ક્સ સાથે પાસ થઈ જાય પણ તેને ભણવા કરતાં આધ્યાત્મિક પુસ્તકો વાંચવામાં બહુ રસ પડે. સ્કૂલની વક્તૃત્વ સ્પર્ધામાં ઇનામ મળે તો એ ઇનામ ઘરે પહોંચે એ પહેલાં જ પક્ષીઓને ચણ આપવામાં ખર્ચાઈ જાય કે પછી મોટી ઉંમરના કોઈને તેમને ભાવતી મીઠાઈ ખવડાવવામાં ખર્ચાઈ જાય. આવું જો આપણું બાળક કરે તો મનમાં રાજીપો ચોક્કસ થાય પણ એની સાથોસાથ એકાદ ધોલ પણ પડી જાય કે એવી રીતે અજાણ્યા પાસે ઊભા નહીં રહેવાનું. જોકે પાંડે પરિવારમાં એવું કશું બને નહીં. શંભુ પાંડે અને રમાદેવી દીકરાના આ વ્યવહારને ઈશ્વરના આશીર્વાદ ગણી દીકરાને પ્રોત્સાહન આપે અને પ્રોત્સાહનના ભાગરૂપે ઘરમાં શીરો અને પૂરી બનાવીને પણ ખવડાવે. પ્રેમાનંદજી કહે છે, ‘મેં જ્યારે પણ બીજા માટે કંઈ કર્યું છે ત્યારે મને મારાં માતા-પિતાએ વધુ પ્રેમ આપ્યો અને એ પ્રેમને લીધે જ મારા મનમાં પ્રશ્ન જન્મવાના શરૂ થઈ ગયા કે એ લોકો મારી સાથે કાયમ રહેશેને?’

પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું તેમણે પિતાજી અને માતાજીને. જવાબ મળ્યો: સમય આવ્યે બધાએ ભગવાન પાસે જવાનું હોય.

ભગવાન પાસે જવાનું હોય! જો એવું જ હોય તો ભગવાન ક્યાં રહે, તે કેવા દેખાય અને તેને મારે જોવા હોય તો શું કરવું પડે?

બાળ પ્રેમાનંદ એટલે કે અનિરુદ્ધ પાંડેના બાળમાનસમાં આ પ્રકારના સવાલો જન્મતા રહે અને પછી તે જવાબ મેળવવા માટે ભાતભાતનાં ધાર્મિક પુસ્તકો ઊથલાવી નાખે. ૧૩ વર્ષની ઉંમરે પહોંચતાં સુધીમાં તો અનિરુદ્ધ પાંડેએ ત્રણસોથી વધારે ધાર્મિક પુસ્તકોનું અધ્યયન કરી લીધું હતું, પણ અફસોસ એક પણ પુસ્તકમાંથી તેને જે જવાબ જોઈતા હતા એ જવાબ મળ્યા નહીં અને એટલે જ તેના મનમાં પ્રશ્નનું વમળ મોટું થવા માંડ્યું અને એક દિવસ તેણે નક્કી કરી લીધું કે ઘર છોડવું છે.

અનિરુદ્ધે સૌથી પહેલાં આ વાત મા રમાદેવીને કરી અને રમાદેવીએ તેને સમજાવ્યું કે આ ઉંમરે ઘરેથી જવામાં શું-શું પ્રૉબ્લેમ આવે. માને ક્યાં ખબર હતી કે નાના પ્રેમાનંદનું મન તો એ પ્રૉબ્લેમનો જવાબ શોધવામાં લાગી ગયું હતું. પ્રેમાનંદજી પોતાના બાળપણના એ મનોવિષાદને યાદ કરતાં કહે છે, ‘ઘર છોડતી વખતે મારા મનમાં ત્રણ સવાલ હતા. પહેલો, હું જમવાનું શું કરીશ? બીજો, હું રહીશ ક્યાં ને ત્રીજો સવાલ, ઘર છોડ્યા પછી મારું કોણ?’

આ ત્રણ સવાલ કરતાં પણ મોટો વિચાર તો બાળ પ્રેમાનંદ એટલે કે અનિરુદ્ધના મનમાં પહેલેથી જ વહેતો હતો. શું માબાપનો પ્રેમ જીવનમાં હંમેશાં સાથે રહે છે? જો નહીં તો પછી બીજી બધી ખુશીઓ તો અસ્થાયી છે, એના માટે શું કામ હેરાન થવું? શું કામ ઈશ્વરને મળવાનો માર્ગ અપનાવવો નહીં?

બસ, એક રાતે અનિરુદ્ધે ઘર છોડી દીધું. એ સમયે પણ તેના મનમાં માની વાત પરથી જન્મેલા ત્રણ સવાલો તો હતા જ, પણ એનો જવાબ તેણે જાતે જ શોધી લીધો અને મનને સમજાવી લીધું. પ્રેમાનંદજી કહે છે, ‘મેં જાતને કહ્યું કે ઈશ્વર જમાડવા માગતો હશે તો જમીશ, ભગવાન જ્યાં રાખવા માગતા હશે ત્યાં રહીશ અને છેલ્લો સવાલ હતો ઘર છોડ્યા પછી મારું કોણ અને મને જવાબ મળ્યો, જે ભગવાન માટે ઘર છોડું છું એ ભગવાન... એનાથી મોટું તો બીજું કોણ આપણું હોય?’

અનિરુદ્ધે ઘર છોડ્યું ત્યારે તે નવમું ધોરણ ભણતો હતો. પ્રેમાનંદજી કહે છે, ‘એ સમયે મને જે ભણાવવામાં આવતું એ હું ભણી લેતો, પણ પછી હું મારા શિક્ષકને પૂછતો કે મારું જે ધ્યેય છે એની પ્રાપ્તિમાં આ બધું મને કામ આવશે? શિક્ષક બિચારા શું કરે, એ તો પોતાની રીતે જવાબ આપી દે પણ મને એ જવાબથી સંતોષ થાય નહીં એટલે હું ‘શ્રી રામ જય રામ જય જય રામ...’ અને ‘શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી...’નો જાપ કરવા બેસી જતો. મને એ જાપમાં આનંદ પણ મળતો અને સંતોષ પણ થતો.’

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અવારનવાર પ્રેમાનંદજી પાસે સત્સંગ માટે જતા હોય છે.

જીવનનું હવે એક ધ્યેય

રાધાવલ્લભ સંપ્રદાયની પ્રથાઓ અને દર્શનમાં પોતાનું જીવન સમર્પિત કરી દેનારા પ્રેમાનંદજીના તપસ્વી જીવનનું પહેલું નામ આનંદસ્વરૂપ બ્રહ્મચારી હતું, જે નામ તેમને ગૌરાંગીશરણ મહારાજે આપ્યું. ઘર છોડ્યા પછી પ્રેમાનંદજીએ નૈષ્ઠિક બ્રહ્મચર્યના માર્ગ પર સંન્યાસ લીધો જે વ્યક્તિ ગૃહસ્થાશ્રમ માંડ્યા વિના જ સમગ્ર જીવન બ્રહ્મચર્યમાં ગાળવાનું નક્કી કરે એને નૈષ્ઠિક બ્રહ્મચર્ય કહેવાય અને તેમણે ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ અપનાવી લીધો.

સંન્યાસ પછીનાં શરૂઆતનાં વર્ષો તેમણે વારાણસીમાં ગંગા નદીના કિનારે પસાર કર્યાં. પ્રેમાનંદજી પોતે પોતાના પ્રવચનમાં અનેક વખત કહી ચૂક્યા છે કે આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થાય એ માટે તેમણે ક્યારેય પરંપરાગત આશ્રમિક પદાનુક્રમિક જીવનનો સ્વીકાર કર્યો નહીં. આશ્રમ હોવા છતાં, ગુરુનો સંગ હોવા છતાં અને ગુરુની તમામ પ્રકારની સેવાક્રિયા કર્યા પછી પ્રેમાનંદજી એટલે કે એ સમયના આનંદસ્વરૂપ બ્રહ્મચારી આશ્રમ છોડીને ગંગાકિનારે આવી જાય.

પ્રેમાનંદજી કહે છે, ‘ગંગા મારા માટે બીજી મા બનીને રહી. હું એના સહારે અને એ મારી આંગળીએ. ગંગાકિનારે હું રાત-દિવસ પસાર કરું. ઘણી વાર તો વરસાદી રાત વચ્ચે ગંગામાં પૂર જતું હોય અને હું માનાં ચરણો પાસે બેઠો હોઉં.’

તમને જાણીને નવાઈ લાગશે પણ હકીકત છે કે ઑલમોસ્ટ ૨૦ વર્ષ સુધી પ્રેમાનંદજીએ દિવસમાં ત્રણ વાર ગંગામાં સ્નાન કરવાનો નિયમ પાળ્યો છે. સીઝન કોઈ પણ હોય, વાતાવરણ ગમે એવું હોય પણ આ નિયમ પાળવાનો એટલે પાળવાનો જ. શરૂઆતનાં આ વર્ષોમાં આનંદસ્વરૂપ બ્રહ્મચારી મહાદેવના પ્રખર ભક્ત હતા. અવધૂત બનીને રહેવું અને શિવનામમાં લીન થઈ જવું એ તેમનો નિત્ય ક્રમ હતો. એક વખત તો તેમણે ગંગાકિનારે સમાધિ લગાડી દીધી અને પછી જ્યારે આંખો ખોલી ત્યારે તેમની આજુબાજુમાં અનેક લોકો અને સાધુઓ એકત્રિત થઈ ગયા હતા. પ્રેમાનંદજી કહે છે, ‘શું કામ બધા ભેગા થયા છે એની પૂછપરછ કરી તો ખબર પડી કે એ લોકો તો મારા અંતિમ સંસ્કાર માટે એકઠા થયા હતા. એક સાધુએ કહ્યું કે સારું થયું સમયસર તેં આંખ ખોલી, નહીં તો અમે તો તને વિદાય કરવાના હતા.’

આનંદસ્વરૂપ બ્રહ્મચારીને તો એમાં પણ ક્યાં વાંધો હતો? પ્રેમાનંદજી કહે છે, ‘મેરે જીવન કા બસ એક હી લક્ષ્ય હૈ, પ્રભુ કો પ્રાપ્ત કરના ઔર જબ તક વો પ્રાપ્ત નહીં હોતે તબ તક ઉનકા નામ લેના...’

જીવનનો અદ્ભુત ટર્ન

આનંદસ્વરૂપ બ્રહ્મચારીનું જીવન ખરા અર્થમાં બ્રહ્મચારી જીવન હતું. આપણે સંસારીઓએ બ્રહ્મચારી શબ્દને બહુ સીમિત બનાવી લીધો છે અને એને કામેચ્છા પૂરતો બંધનમાં મૂકી દીધો છે, પણ એવું નથી. બ્રહ્મચારી એટલે છએ છ ઇન્દ્રિય પર કાબૂ મેળવી એના પર વિજય મેળવવો. આનંદસ્વરૂપ બ્રહ્મચારીએ એ દિશામાં જ કામ કર્યું અને તેમણે પોતાની તમામ ઇન્દ્રિય પર વિજય મેળવવા માટે જબરદસ્ત મહેનત કરી.

એ જ મહેનતના ભાગરૂપે આનંદસ્વરૂપ વારાણસીમાં હતા એ વખતે તેમણે મનોમન નક્કી કર્યું કે હવે તે ક્યારેય છતનો સહારો નહીં લે એટલે કે આશ્રમ કે ઘરમાં નહીં રહે. નિર્ણય લીધા પછી આનંદસ્વરૂપ બ્રહ્મચારીએ પોતાનું જીવન પીપળાના ઝાડને સમર્પિત કરી દીધું અને તે ઝાડની નીચે જ રહેવા માંડ્યા. તમામ જીવનચર્યા આ ઝાડ નીચે જ. નાહવાનું ગંગામાં અને પછી રહેવાનું ઝાડ નીચે. દિવસ હોય કે રાત, તડકો હોય કે સાંબેલાધાર વરસાદ; પીપળો જ આશરો. પ્રેમાનંદજી કહે છે, ‘કુછ કહતે હૈં કે મન કા હો તો અચ્છા, ના હો તો ઔર ભી અચ્છા. પર મૈંને તો મન કો હી બંદ કર દિયા થા. જો ભી હો વો અચ્છા ઔર અગર કુછ ના હો તો ઔર ભી અચ્છા...’

આવું જીવન જીવવા માટે માત્ર સહનશક્તિ જ નહીં; હિંમત, ધૈર્ય જોઈએ અને સાથોસાથ ઈશ્વર પ્રત્યે અખૂટ શ્રદ્ધા પણ હોવી જોઈએ. આનંદસ્વરૂપ બ્રહ્મચારીમાં એ બધું હતું અને એટલે એ પીપળાના ઝાડે તેમને એક અનોખી દિશા દેખાડી.

બન્યું એવું કે એક દિવસ એ જ ઝાડ નીચે એક સંતે આનંદસ્વરૂપ બ્રહ્મચારીને સ્વામીશ્રી શ્રીરામ શર્મા દ્વારા આયોજિત રાસલીલામાં ભાગ લેવા માટે સૂચન કર્યું અને પીપળાના ઝાડના ચાર ફુટ બાય ચાર ફુટના ઘેરાવાને છોડતા નહોતા એ આનંદસ્વરૂપ બ્રહ્મચારી રાસલીલામાં જવા માટે રાજી થઈ ગયા. આ એક મહિના દરમ્યાન દિવસે શ્રી ચૈતન્ય મહાપ્રભુની લીલા જોવાની અને રાતે શ્રી શ્યામાશ્યામની રાસલીલા જોવાની.

એ ૩૦ દિવસ આનંદસ્વરૂપ બ્રહ્મચારીના જીવનને એક નવો જ ટર્ન આપી ગયા.

વાટ મથુરા અને વૃન્દાવનની

લીલાએ આનંદસ્વરૂપ બ્રહ્મચારીને એવા તે મોહિત કર્યા કે તેમણે ગુરુની આજ્ઞા લીધી અને રાધેકૃષ્ણના જીવનની સમીપ જવા માટે મથુરાની વાટ પકડી. ટ્રેનમાં બેસતી વખતે તેમને ખબર સુધ્ધાં નહોતી કે હવે તે એ દિશામાં જઈ રહ્યા છે જેની તે વર્ષોથી રાહ જોતા હતા. મથુરા અને વૃન્દાવનથી તે એટલા પ્રભાવિત થયા કે તેમણે નક્કી કર્યું કે થોડો સમય અહીં જ રહેવું. વૃન્દાવનમાં થતા રાસલીલાના કાર્યક્રમમાં તેમને એવું જ લાગતું કે પોતે જાણે કે રાધેકૃષ્ણની સમીપ જઈ રહ્યા છે. ભાવવિભોર બનીને રાસલીલા દરમ્યાન આનંદસ્વરૂપ બ્રહ્મચારી રડી પણ પડતા તો ઘણી વખત એવું પણ બનતું કે તે લાગણીમાં આવીને રાસ પણ રમતા.

એક તબક્કે તેમને લાગ્યું કે પોતે રાધેકૃષ્ણનાં જ એક ગોપી છે અને એટલે જ તેમણે નક્કી કર્યું કે રાધા વલ્લભ સંપ્રદાયમાં દીક્ષા લેવી. ગુરુ હિત શરણજી મહારાજ પાસેથી તેમને નિજ મંત્ર અને નિત્ય વિહાર રસની દીક્ષા પ્રાપ્ત થઈ અને અહીંથી જન્મ થયો પ્રેમાનંદ મહારાજનો. પ્રેમાનંદ મહારાજ કહે છે, ‘પ્રેમ મેં જો આનંદમય જીવન બિતાએ વો હૈ પ્રેમાનંદ ઔર મેરા તો યહી ધ્યેય હૈ... પ્રેમસભર વાતાવરણ વચ્ચે આનંદથી જીવન પસાર કરવું અને પછી શ્રી હરિમાં લીન થઈ જવું.’

વૃન્દાવનમાં રહી ગયેલા પ્રેમાનંદજીએ ૨૦૧૬માં શ્રી હિત રાધા કેલી કુંજ ટ્રસ્ટની સ્થાપના કરી. સમાજહિત માટે ચાલતા આ ટ્રસ્ટમાં વૃન્દાવન આવતા તીર્થયાત્રીઓને ઉતારાથી માંડીને ભોજનથી લઈને સારવાર અને અન્ય સુવિધાઓ પૂરી પાડે છે, પણ સૌથી મજાની વાત એ છે કે આ ટ્રસ્ટમાં ક્યાંય પ્રેમાનંદજી નથી. ટ્રસ્ટીઓમાં તેમના પરિવારની એક પણ વ્યક્તિ નથી અને એ ટ્રસ્ટીઓને તે ઓળખતા સુધ્ધાં નહોતાં. ટ્રસ્ટના પેપરમાં ક્યાંય પ્રેમાનંદજીની સહી નથી. પ્રેમાનંદજી કહે છે, ‘જે બધું છોડીને આવ્યો હોય તેને હવે આ બધી ચીજવસ્તુઓનો શું મોહ? હું મોબાઇલ રાખતો નથી અને રાખવાનો પણ નથી. યુટ્યુબ ચૅનલની જે આવક છે એ આવક પણ ટ્રસ્ટના નામે જાય છે. પહેલાં ભોજનનાં પણ સાંસાં હતાં, હવે ભગવાનની દયાથી સમયસર ભોજન મળે છે. એનાથી વધારે શું ભગવાન પાસેથી માગવાનું હોય?’

જગજાહેર છે કે પ્રેમાનંદજીની બન્ને કિડની ફેલ થઈ ગઈ છે અને એ પછી પણ તે પ્રભુના નામ સાથે સરસ જીવન જીવે છે. પ્રેમાનંદજીએ આ બન્ને કિડનીને નામ આપ્યું છે. એકનું નામ રાધે છે ને બીજીનું નામ કૃષ્ણ છે. પ્રેમાનંદજી કહે છે, ‘અવિભાજ્ય અંગ એવી કિડની વિના પણ આજે શ્વાસ ચાલે છે એ રાધેકૃષ્ણના આશીર્વાદ...’

પ્રેમાનંદજીની દિનચર્યા શું છે?

પ્રેમાનંદજી આજે પણ દિવસમાં ત્રણ કલાક જ સૂવે છે. સવારે ચાર વાગ્યે તેમની પદયાત્રા હોય છે. એ પછી તેમનાં દર્શનનો સમય હોય છે જેનાં ટોકન અગાઉથી લેવાનાં રહે છે. સોશ્યલ મીડિયા પર પ્રેમાનંદજીનાં વ્યાખ્યાન એ સ્તર પર પૉપ્યુલર થયાં છે કે હવે રોજ હજારો દર્શનાર્થીઓ તેમનાં દર્શન માટે આવે છે. જો તમે દર્શન માટે જવા માગતા હો તો તમારે તૈયારી રાખવી પડે કે વારો ઓછામાં ઓછા બેત્રણ દિવસે આવશે.

પ્રેમાનંદજી રોજ બે ટાઇમ જમે છે, જેમાં અડધી રોટલી અને શાકનું ભોજન હોય છે. પ્રેમાનંદજી કહે છે, ‘શરીર માટે આટલું ભોજન પર્યાપ્ત છે.’

પ્રેમાનંદજી એક શરાબીને આજે પણ શું કામ યાદ કરે છે?

વાત વારાણસીના સમયની છે. પ્રેમાનંદજીને એ સમયે કોઈ ગુરુ મળ્યા નહોતા અને તે ગંગાકિનારે રહેતા હતા. ગંગા જ તેમનો આશરો અને ગંગા જ તેમનો સહારો. એક રાતે તેમને એક દારૂડિયો મળ્યો. ચિક્કાર નશો કરેલા એ દારૂડિયાએ પ્રેમાનંદજીને બોલાવ્યા. પ્રેમાનંદજી કહે છે, ‘એ સમયે મારી ઉંમર સોળ-સત્તર વર્ષની. હું તો ગયો તેની પાસે એટલે તે મને એક મંદિર પાસે લઈ ગયો અને મંદિરની મૂર્તિ દેખાડીને કહે કે આ કોણ છે? ભગવાન શ્રી વિષ્ણુની એ મૂર્તિ હતી. મેં જવાબ આપ્યો, ભગવાન...’

જેવો પ્રેમાનંદજીએ જવાબ આપ્યો કે શરાબી તેની સામે ઘૂરક્યો. કહે, ‘ના, ખોટી વાત. પથ્થર...’

પછી એ શરાબીએ ફર્શ તરફ હાથ કરીને પૂછ્યું, ‘આ શું છે?’

‘પથ્થર...’

પ્રેમાનંદજીએ જવાબ આપ્યો કે તરત પેલા શરાબીએ કહ્યું, ‘બરાબર... આ પથ્થર અને આ, તું જેને ભગવાન કહે છે એ પણ પથ્થર... આ ફરક ખબર છે શું કામ છે? આ જે પથ્થર છે એણે ઝીણા-ઝીણા ઘા સહન કર્યા. ઘા સહન કર્યા એટલે એ પથ્થર ભગવાન બની ગયો અને જેણે ઘા સહન કર્યા નહીં એ પથ્થર રહીને જમીન પર પડ્યા રહ્યા. લોકો એની ઉપર ચાલે છે ને આ પથ્થરને બધા પગે લાગે છે.’

પ્રેમાનંદજી કહે છે, ‘એ શરાબીએ બહુ સરસ વાત કરી. કહા કિ ઘાવ સહન કરતે રહના, હારના મત, દુખી મત હોના. ઘાવ સહન કરતે જાઓગે તો હી લોગ સામને ખડે રહકર હાથ જોડેંગે... વર્ના લોગ ઉપર સે ચલ કર ગુઝર જાએંગે, કોઈ સામને ભી નહીં દેખેગા...’

પ્રેમાનંદજી કહે છે, ‘તમને સમજાવવા, મદદ કરવા અને તમારી હિંમત અકબંધ રહે એ માટે ભગવાન ક્યાંક ને ક્યાંકથી આવી જ જતા હોય છે. બસ, જરૂર એટલી છે કે તમે ઓળખો કે તમને જે કહે છે એનો કહેવાનો ભાવાર્થ શું છે. હું જ્યારે પણ હિંમત હાર્યો છું ત્યારે મને એ શરાબીના શબ્દો યાદ આવ્યા છે કે હારના નહીં, ઘાવ સહન કરતે જાના. ઘાવ સહન કરોગે તો હી લોગ સામને ખડે રહકર હાથ જોડેંગે.’

વિવાદમાં મિડનાઇટ યાત્રા

વૃન્દાવનમાં રોજ રાતે પ્રેમાનંદજી પદયાત્રા કરતા, જેમાં અસંખ્ય ભાવિકો અને પ્રેમાનંદજી સાથે સંકળાયેલા સાધુસંતો જોડાતા. રાતે બે વાગ્યે નીકળતી આ પદયાત્રામાં ઢોલ-નગારાંનો ઉપયોગ થતો તો લાઉડસ્પીકરનો પણ ભરપૂર ઉપયોગ થતો અને સાથોસાથ ફટાકડા પણ ફોડવામાં આવતા. રાતે બે વાગ્યે નીકળતી આ પદયાત્રાની શરૂઆત પ્રેમાનંદજીના નિવાસસ્થાન એટલે કે શ્રીકૃષ્ણ શરણંથી શરૂ થતી અને શ્રી રાધાકેલી કુંજ પર પૂરી થતી. આ પદયાત્રા સામે સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો, જેને લીધે પ્રેમાનંદજીએ થોડો સમય પદયાત્રા બંધ કરવી પડી અને પછી એ શરૂ થઈ ત્યારે એનો સમય સવારના ચાર વાગ્યાનો કરવામાં આવ્યો.

મહિલાઓનો વિરોધ હતો કે રાતે બે વાગ્યે નીકળતી પદયાત્રાના કારણે તેમને ઊંઘમાં ખલેલ પડે છે, જેને કારણે સવારે કામમાં મોડું થાય છે. શરૂઆતના સમયે પ્રેમાનંદજી કે તેમના કોઈ અનુયાયીઓએ એ વાત પર ધ્યાન આપ્યું નહીં પણ વિવાદ છેક મીડિયા સુધી પહોંચતાં તેમણે પદયાત્રા બંધ કરી દીધી. અલબત્ત, હવે એ ફરી શરૂ થઈ ગઈ છે, જે સવારે ચાર વાગ્યે થાય છે. રાતે પદયાત્રા શરૂ કરવા પાછળનો હેતુ સમજવા જેવો છે. એવું કહેવાતું રહ્યું છે કે રાધેકૃષ્ણ આજે પણ રોજ મથુરા-વૃન્દાવનમાં રાસલીલા માટે રાતના સમયે આવે છે. રાધેકૃષ્ણની આ રાસલીલાને વધાવવાના હેતુથી આ પદયાત્રા બે વાગ્યે કરવામાં આવતી હતી.

સમય બદલવા માટે જે કારણો આપવામાં આવ્યાં એમાંનું એક કારણ પ્રેમાનંદજીની હેલ્થ પણ છે. યાદ રહે, પ્રેમાનંદજી દિવસ દરમ્યાન માત્ર ત્રણ કલાક સૂવે છે. તેમને યોગ્ય આરામ મળી રહે એવા ભાવથી પદયાત્રાનો સમય પાછળ ઠેલવામાં આવ્યો.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2025 07:01 AM IST | Vrindavan | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK