Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ઈશ્વરને ભજવાની ત્રણ રીતઃ સાધના, આરાધના અને ઉપાસના

ઈશ્વરને ભજવાની ત્રણ રીતઃ સાધના, આરાધના અને ઉપાસના

Published : 01 April, 2025 03:17 PM | Modified : 02 April, 2025 06:52 AM | IST | Mumbai
Morari Bapu

ભજનનો સૂક્ષ્મ અર્થ થયો પરંતુ જો સ્થૂળ અર્થમાં જોઈએ તો ભજન કોઈને નિષ્ક્રિય બનાવતું નથી એટલે દિવસે સૌ પોતાનું કર્મ કરે અને રાત્રે કર્મનિવૃત્ત થઈને અલખને આરાધે એ માટે ભજનને રાત્રિનો સમય વધુ માફક આવે છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


મારા પ્રિય શબ્દોમાં એક શબ્દ ભજન છે.


પરમતત્ત્વને ભજવા એનું નામ ભજન. આ ભજન કોઈ પણ રીતે થઈ શકે છે, કોઈ ગાઈને કરે, કોઈ બોલીને કરે, કોઈ નાચીને કરે, કોઈ માત્ર હરિનામ લીધા કરે, કોઈ પ્રભુના રૂપનું ધ્યાન ધરે. આ તમારી રીતે ભજન થયું ગણાય. ભજનમાં એવી તાકાત છે કે જો ખરા હૃદયથી થાય તો ભજન સાધકને ઈશ્વર કરતાં પણ આગળ લઈ જાય છે. દાખલા તરીકે કબીરનું ભજન પાકી ગયું તો લખવું પડ્યું કે પીછે પીછે હરિ ફિરત, પુકારત કબીર કબીર.



કોઈ પણ સાધક પોતાના ઇષ્ટનું સાચા હૃદયથી કોઈ પણ રીતે સ્મરણ કરે એનું નામ ભજન છે. આપણે ત્યાં સંતવાણી સ્વરૂપે ભજનને સંગીત સાથે ગાવા તથા સાંભળવાના કાર્યક્રમો થાય છે એ મોટા ભાગે રાત્રે થાય છે. કોઈ પણ ભક્તને એકાંતમાં બેસીને ભજન કરવું હોય તો પણ દિવસ કરતાં રાત્રિનો સમય વધુ અનુકૂળ આવે છે એટલે સવાલ થાય કે ભજન રાત્રે શા માટે થતાં હશે?


એનો જવાબ છે કે ભજનમાં એવી શક્તિ છે કે એ સાધકના મનમાં અંધારાને ઉલેચીને અજવાળાં કરી શકે છે અને આ હકીકત છે.

ઘણા સાધકના જીવનમાં ભજનથી અજવાળાં થયાં છે એટલે જે અજવાળામાં થાય એ ભજન નથી પણ જે અજવાળાં પ્રગટાવે એનું નામ ભજન છે. આ ભજનનો સૂક્ષ્મ અર્થ થયો પરંતુ જો સ્થૂળ અર્થમાં જોઈએ તો ભજન કોઈને નિષ્ક્રિય બનાવતું નથી એટલે દિવસે સૌ પોતાનું કર્મ કરે અને રાત્રે કર્મનિવૃત્ત થઈને અલખને આરાધે એ માટે ભજનને રાત્રિનો સમય વધુ માફક આવે છે. આપણે ત્યાં સાધના, આરાધના અને ઉપાસના એ ત્રણ રીતે ઈશ્વરને ભજવામાં આવે છે.


ભજનની વ્યાખ્યા જેણે જે કરવી હોય એ કરે પણ હું તો ભજનની વ્યાખ્યા આ મુજબ કરું.

‘ભ’ એટલે ભક્તિ, ‘જ’ જગન અને ‘ન’ એટલે નેતિ.

મારી દષ્ટિએ ભજનમાં ભક્તિ એટલે ભક્તિ માર્ગ, જગન અથવા યજ્ઞ એટલે કર્મમાર્ગ અને નેતિ એટલે જ્ઞાનમાર્ગ એમ ત્રણે યોગનો સમન્વય જોવા મળે છે, ભજનના ત્રણ અક્ષરમાં દેખાતા ત્રણે યોગ માટે હું એમ કહીશ કે જે ઇતિ કરે એ ભક્તિ માર્ગ, જે નેતિ કરે એ જ્ઞાન માર્ગ અને જે પ્રીતિ કરે એ કર્મ માર્ગ છે.

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2025 06:52 AM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK