Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > રિજેક્શન પ્રત્યેનું આપણું રીઍક્શન આપણું ખરું ચારિયદર્શન કરાવે છે

રિજેક્શન પ્રત્યેનું આપણું રીઍક્શન આપણું ખરું ચારિયદર્શન કરાવે છે

Published : 18 May, 2025 04:04 PM | Modified : 18 May, 2025 04:06 PM | IST | Surat
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

‘હૅન્ડલ વિથ કૅર’ની સૌથી વધારે જરૂર આપણા ઈગોને હોય છે. કાચ જેવો બ્રેકેબલ અને બટકણો અહંકાર લઈને ફરતા હોઈએ તો ક્યારેક એના જ તૂટેલા ટુકડાઓ આપણને લોહીલુહાણ કરી નાખે છે

પ્રતીકાત્મક તસવીર

ધ લિટરેચર લાઉન્જ

પ્રતીકાત્મક તસવીર


દોઢેક વર્ષ પહેલાં સુરતમાં બનેલો કિસ્સો હજીયે મનમાંથી નીકળતો નથી. પ્રેમ કે પ્રપોઝલનો અસ્વીકાર થવાને કારણે એક યુવકે જાહેરમાં તેની પ્રિય મિત્રનું ગળું કાપીને હત્યા કરી નાખી. એકવીસ વર્ષની એક નિર્દોષ દીકરીએ ફક્ત ‘ના’ પાડવાને કારણે જીવ ગુમાવવો પડ્યો. આ દુર્ઘટનાએ મારી અંદર ખૂબ બધાં વમળો સર્જ્યાં હતાં જે આજે પણ અકબંધ છે. આપણને બધાને ખબર છે કે ‘ના’ એ એક સંપૂર્ણ વાક્ય છે. ન તો એની આગળ કોઈ પૂર્વભૂમિકાની જરૂર હોય છે, ન તો એની પાછળ કોઈ ખુલાસાની. પણ પ્રશ્ન એ છે કે આ ‘રિજેક્શન સેન્સિટિવ’ સમાજ અસ્વીકાર માટે કેટલો તૈયાર છે?


એ સોશ્યલ મીડિયા હોય કે વાસ્તવિક જીવન, આપણે સહુ સતત સ્વીકારની શોધમાં ભટકતા હોઈએ છીએ. ‘ના’, ‘સૉરી’, ‘શક્ય નહીં બને’, ‘આઇ ઍમ નૉટ ઇન્ટરેસ્ટેડ’ જેવા જવાબો આપણને દુખી કરે છે. એ નોકરી માટે હોય કે છોકરી માટે, રિજેક્ટ થયાનું દુ:ખ હૃદયવિદારક એટલે કે હાર્ટ-બ્રેકિંગ હોય છે. આપણી પાસે બધું જ હોવા છતાં જગતના કોઈ એક ખૂણેથી મળતો નાનકડો એવો અસ્વીકાર પણ આપણા આત્મસન્માનને ઈજાગ્રસ્ત કરી નાખે છે. પણ પછી શું? તો જવાબ એમ છે કે એ અસ્વીકાર પછીની આપણી પ્રતિક્રિયા આપણું ભવિષ્ય નક્કી કરે છે. રિજેક્શન પ્રત્યેનું આપણું રીઍક્શન આપણું ચારિયદર્શન કરાવે છે.



સાઇકોલૉજિસ્ટ રિચમૅન અને લીઅરીએ કરેલા અભ્યાસ પ્રમાણે રિજેક્શન પછીની માનવપ્રતિક્રિયા મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાય છે. પ્રો-સોશ્યલ, ઍસોશ્યલ અને
ઍન્ટિ-સોશ્યલ. પ્રો-સોશ્યલ બિહેવિયરમાં, રિજેક્શન પામેલી વ્યક્તિ, સ્વીકાર મેળવવા માટે બમણા પ્રયત્નો કરવા લાગે છે. આ પ્રકારના વર્તનમાં સામાજિક જોડાણની ઝંખના તીવ્ર હોવાથી વ્યક્તિ અનેક જગ્યાએ પોતાનો પ્રેમ, પ્રપોઝલ કે જરૂરિયાત લઈને પહોંચી જાય છે. એક નહીં તો બીજા, પરંતુ કોઈ એક સ્થળેથી સ્વીકાર મેળવવા માટે વ્યક્તિ ધમપછાડા કરવા લાગે છે. ઍસોશ્યલ બિહેવિયરમાં, અસ્વીકાર મળ્યા બાદ વ્યક્તિ એકલી, ઉદાસ અને દુખી રહેવા લાગે છે. ભવિષ્યમાં ફરી વાર આવા રિજેક્શનનો સામનો ન કરવો પડે એટલે એ વ્યક્તિ પોતાની ઇચ્છા કે રજૂઆતને દબાવી દે છે. ઍન્ટિ-સોશ્યલ બિહેવિયરમાં વ્યક્તિ આક્રમક બની જાય છે. તે ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા લાગે છે. તેને રિજેક્ટ કરનારી વ્યક્તિ પર શાબ્દિક કે શારીરિક હુમલો કરે છે.


ડેટિંગ માટેના પ્રસ્તાવ કે અન્ય કોઈ માગણીનો અસ્વીકાર પામતા પુરુષો ક્યારેક પોતાની જ મિત્ર, ગર્લફ્રેન્ડ કે લવ-ઇન્ટરેસ્ટ પ્રત્યે આક્રમક બની જાય છે. પોતાનું ધાર્યું ન થતાં કે પોતાની ઇચ્છા વિરુદ્ધ પ્રેમસંબંધનો અંત આવતાં તેઓ પોતાની જ ‘પ્રેમિકા’નું અહિત કરવા લાગે છે. અન્ય મિત્રોની હાજરીમાં એનું ચારિત્ર્યહનન કરવું. પોતાની અંગત ક્ષણોના ફોટોઝ કે વિડિયોઝ પબ્લિક કરી દેવા કે અન્ય કોઈ રીતે એને હાનિ પહોંચાડવાના પ્રયત્નો કરવા એ બીમાર માનસિકતાનું લક્ષણ છે. પણ સાચું કહું? આવું કરવા પાછળનું મુખ્ય કારણ આપણા માનસમાં ઘર કરી ગયેલી એક પ્રાચીન માન્યતા છે.

આમ થવા પાછળનું કારણ સમજાવતાં સાઇકો-થેરપિસ્ટ જૅમ ગ્લિશર કહે છે, ‘કેટલાક પુરુષો અસ્વીકારને પોતાના પૌરુષત્વ સાથે જોડી દે છે. એક સ્ત્રી તરફથી મળતો અસ્વીકાર તેમને પોતાના પુરુષ તરીકેના અસ્તિત્વ પર જોખમ લાગવા લાગે છે. આવા પુરુષો સ્ત્રીને નિમ્ન ગણે છે અને નિમ્ન વ્યક્તિ તરફથી મળતો અસ્વીકાર તેમના માટે અસહ્ય હોય છે.’


એ બૉસ પ્રત્યે હોય કે મિત્ર પ્રત્યે, અસ્વીકાર પ્રેરિત આક્રમકતાનો અર્થ એક જ થાય, અનાદર. જેમણે અસ્વીકાર કર્યો છે (રિજેક્શન સોર્સ) ફક્ત તેમનો જ નહીં, નિયતિના ચુકાદાનો પણ અનાદર. આપણા પ્રયત્ન, પ્રતિભા કે પ્રેમમાં રહેલી ઊણપનો, કુદરતની અદાલતનો, ભાગ્યનો, આપણી મર્યાદા અને વાસ્તવિકતાનો અનાદર. જે વ્યક્તિ કોઈના નિર્ણયને માન નથી આપી શકતી એ વ્યક્તિ બીજા કશાયને માટે લાયક કઈ રીતે હોઈ શકે?

બાળકના ઉછેર માટે ખૂબ બધી ‘ના’ની જરૂર હોય છે. આપણું બાળક ગણિત-વિજ્ઞાન શીખે કે ન શીખે, પ્રસ્તાવ મૂકતા સમયની વિનમ્રતા અને અસ્વીકાર મળ્યા પછીની શાલીનતા તો આપણે એને શીખવાડવી જ પડશે. મમ્મી કે પપ્પા કોઈ વાતની ‘ના’ પાડે ત્યારે બાળકનું જે વર્તન હોય છે એ જ વર્તન મોટા થયા પછી એમ્પ્લિફાય થાય છે. આપણા વ્યક્તિગત વિકાસ અને ઉન્નતિ માટે એ જ લાગણીઓની જરૂર હોય છે જેનો આપણને સૌથી વધારે ડર હોય છે. અસ્વીકાર, અવગણના અને તિરસ્કાર પછીનો આપણો અભિગમ આપણી દિશા અને દશા નક્કી કરે છે.

આપણાં કપડાં, કુળ કે કૌવતથી આપણું કૅરૅક્ટર નક્કી નથી થતું. એ નક્કી થાય છે રિજેક્શનને હૅન્ડલ કરવાની આપણી આવડતથી. અસ્વીકારનો સ્વીકાર કરી શકવો એ બહુ દુર્લભ પ્રતિભા છે. એના માટે વિશાળ હૃદય, ખૂબ બધો આત્મવિશ્વાસ અને સમજણ હોવી જરૂરી છે. ‘હૅન્ડલ વિથ કૅર’ની સૌથી વધારે જરૂર આપણા ઈગોને હોય છે. કાચ જેવો બ્રેકેબલ અને બટકણો અહંકાર લઈને ફરતા હોઈએ તો ક્યારેક એના જ તૂટેલા ટુકડાઓ આપણને લોહીલુહાણ કરી નાખે છે. એ વાત સમજવી જરૂરી છે કે જીવનમાં મળતા રિજેક્શનનો અર્થ ક્યારેક ‘રી-ડાયરેક્શન’ હોય છે. કોઈ એક સ્થળેથી મળતા અસ્વીકાર દ્વારા આ બ્રહ્માંડ આપણને કોઈ નવી દિશા તરફ જવાનો સંકેત આપતું હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2025 04:06 PM IST | Surat | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK