શામળાજીમાં અસંખ્ય યાત્રાળુઓ આવે છે તેમ જ અરવલ્લી જિલ્લાના લોકોને અમદાવાદ કે રાજસ્થાન જવા માટે અમદાવાદ–ઉદયપુર વચ્ચે શરૂ થયેલી આ ટ્રેન છે મહત્ત્વની
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટૉપેજ આપવા માટે રેલવેના સત્તાવાળાઓ સમક્ષ સ્થાનિક લોકોએ માગણી કરી છે. આ યાત્રાધામમાં અસંખ્ય યાત્રાળુઓ આવતા હોવાથી આ ટ્રેનનો લાભ તેમને અને સ્થાનિક લોકોને મળી શકે એ માટે આ ટ્રેનને સ્ટૉપેજ આપવાની માગણી બુલંદ બની છે.
તાજેતરમાં અમદાવાદના અસારવા રેલવે-સ્ટેશનથી રાજસ્થાનના ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનના રૂટમાં શામળાજી રોડ રેલવે-સ્ટેશન આવે છે. શામળાજી યાત્રાધામ છે અને અહીં દરરોજ દેશ-વિદેશના અસંખ્ય યાત્રાળુઓની અવરજવર રહે છે. એ ઉપરાંત અરવલ્લી જિલ્લાના લોકોને અમદાવાદ કે રાજસ્થાન જવા માટે આ ટ્રેન મહત્ત્વની છે. જો વંદે ભારત ટ્રેનનું શામળાજીમાં સ્ટૉપેજ અપાય તો હજારો યાત્રાળુઓને અને સ્થાનિક લોકોને સુવિધા મળવાનું સુલભ થઈ પડશે એવી લાગણી અને માગણી સ્થાનિક લોકોમાં ઊઠી છે.
