ધરપકડ સામે કૉન્ગ્રેસે વાંધો ઉઠાવ્યો : શક્તિસિંહ ગોહિલે પ્રશ્ન કરતાં કહ્યું કે દેશનો નાગરિક આપણી બહાદુર સેનાના સૈનિકોને શ્રેય મળવું જોઈએ એવી વાત કરે તો એ કોઈ ગુનો છે?
રાજેશ સોની
ફેસબુક પર ઑપરેશન સિંદૂર અને સેનાને લગતી ટિપ્પણી કરવા બદલ ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલે ગુરુવારે મોડી રાતે ધરપકડ કરી હતી. આ ધરપકડની સામે ગુજરાત કૉન્ગ્રેસે વાંધો ઉઠાવીને તેમ જ વિરોધ દર્શાવીને રાજેશ સોનીને છોડી મૂકવાની માગણી કરી હતી.
સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SP) ધર્મેન્દ્ર શર્માએ મીડિયાને કહ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂરને લગતી અને સેનાને લગતી ટિપ્પણી કરવામાં આવી છે એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજેશ સોનીએ ફેસબુક પર ટિપ્પણી કરી હતી અને તેમની ધરપકડ કરવામાં આવી છે.’
ADVERTISEMENT
ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલે આ ધરપકડ સામે વાંધો ઉઠાવીને પ્રશ્ન કરવા સાથે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘દેશનો નાગરિક આપણી બહાદુર સેનાના સૈનિકોને શ્રેય મળવું જોઈએ એવી વાત કરે તો એ શું કોઈ ગુનો છે? આ રીતે અરેસ્ટ કોઈ સંજોગોમાં ન ચાલે. હું પોતે પણ કહું છું કે દેશના જાંબાઝ સૈનિકોને પૂરતું શ્રેય મળવું જોઈએ અને સરકારનાં નાણાંનો દુરુપયોગ કરીને, દેશની પ્રજાનાં નાણાંનો દુરુપયોગ કરીને પબ્લિસિટીના સ્ટન્ટ પાછળ ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકારે સરકારી તિજોરીનાં નાણાંનો દુરુપયોગ ન કરવો જોઈએ. કોઈ પણ સરકારમાં બેઠેલા નેતા હોય તેણે શ્રેય ન લેવું જોઈએ. જોકે ભારતની જાંબાઝ સેના અને સૈનિકોને નમન છે, તેમને શ્રેય આપવું જોઈએ. ચાલો, હું પણ આ બોલું છું, મારી પણ અરેસ્ટ કરો. કૉન્ગ્રેસનો એક-એક કાર્યકર આ ભાષામાં વાત કરશે અને BJP સરકારની તાકાત હોય તો પૂરો અમને જેલમાં.’

