૧૧ મેએ સોમનાથ મહાદેવનાં દર્શન કરશે અને વડોદરા પાસે વાઘોડિયામાં સરદાર ધામનું લોકાર્પણ કરશે
નરેન્દ્ર મોદી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સહિત દેશમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઝળહળતો વિજય મેળવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ મેએ ગુજરાત આવશે અને સોમનાથ તેમ જ વડોદરાની મુલાકાત લેશે. વડોદરામાં પાટીદારો દ્વારા તેમનું સરદાર ગૌરવ અવૉર્ડથી સન્માન થશે. ચૂંટણીઓમાં ભગવો લહેરાવ્યા બાદ નરેન્દ્ર મોદી વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવનાં દર્શન કરશે. એ ઉપરાંત જામનગરની પણ મુલાકાત લે એવી શક્યતા છે.
નરેન્દ્ર મોદી વડોદરાને અડીને આવેલા વાઘોડિયા પાસે નવનિર્મિત સરદારધામ–૩નું લોકાર્પણ કરશે. સરદારધામમાં પાટીદાર સમાજનાં ૨૦૦૦ જેટલાં દીકરા-દીકરી માટે રહેવાની વ્યવસ્થા, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
