આવતી કાલે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે યોજાનારી એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહીને કરશે અનેક વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત
નરેન્દ્ર મોદી
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે જશે. આજે સાંજે વડા પ્રધાન એકતાનગર પહોંચશે. આવતી કાલે એકતાનગરમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહીને વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે સ્મૃતિ-સિક્કા અને ટપાલટિકિટનું પણ અનાવરણ કરશે. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડની પૅટર્ન પર રાષ્ટ્રીય એકતા દિવસે એકતાનગર ખાતે પ્રથમ વખત મૂવિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યોની સિદ્ધિ દર્શાવતા એકત્વ થીમ પર આધારિત ૧૦ ટૅબ્લો રજૂ કરવામાં આવશે.


