યુદ્ધવિરામ જાહેર કર્યા પછી ૨૪ કલાકમાં જ ઇઝરાયલે બૅનન પર હુમલો કરીને પાંચ જણના જીવ લીધા
ગઈ કાલે ઇઝરાયલે લેબૅનનના શહેર નબટીહમાં કરેલો હુમલો.
મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને ફરી એક વાર ઝટકો લાગ્યો છે. શુક્રવારે અમેરિકા અને કતરની મધ્યસ્થતાથી ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયો હતો, પરંતુ એના ૨૪ કલાકમાં જ ઇઝરાયલી હુમલામાં લેબૅનનમાં પાંચ લોકોનાં મોત થતાં સ્થિતિ ફરી વણસી છે. યુદ્ધવિરામના ઉલ્લંઘનના પગલે ઈરાને શનિવારે ફરીથી હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દીધી હોવાની જાહેરાત કરી હતી. ઈરાનની સત્તાવાર સ્ટેટ ન્યુઝ એજન્સીના અહેવાલ મુજબ ઈરાનની સર્વોચ્ચ સંયુક્ત લશ્કરી કમાને દાવો કર્યો છે કે અમેરિકા અને ઇઝરાયલે એક દિવસ પહેલાં જ થયેલા શાંતિકરારની શરતો અને વચનોનો સરેઆમ ભંગ કર્યો છે.
ઈરાની સેનાએ સત્તાવાર નિવેદનમાં ચેતવણી આપી છે કે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને બંધ કરવો એ તો માત્ર ‘પ્રથમ પગલું’ છે. જો અમેરિકા અને ઇઝરાયલ તરફથી આ પ્રકારની આક્રમકતા અને ઉલ્લંઘન ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ઈરાન દ્વારા આનાથી પણ વધુ કડક અને આકરાં પગલાં લેવાંમાં આવશે.
