PoKના ૮૦,૦૦૦ લોકોના ટોળાની પાકિસ્તાનને ચેતવણી...
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં ઇસ્લામાબાદ શાસન સામેનો જાહેર આક્રોશ હવે ઐતિહાસિક ક્રાન્તિમાં ફેરવાઈ ગયો છે. PoKમાં અધિકારો અને વિરોધ-પ્રદર્શનો માટે ચાલી રહેલી લડાઈ ચોવીસમા દિવસમાં પ્રવેશી ગઈ છે. રાવલકોટના ઐતિહાસિક ઈદગાહ મેદાનમાં ૮૦,૦૦૦થી વધુ પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા, જ્યાં જૉઇન્ટ અવામી ઍક્શન કમિટી (JAAC)ના અગ્રણી નેતા સરદાર અમાન ખાને સ્ટેજ પરથી પાકિસ્તાન સરકાર અને એના સ્ટેટ સ્પૉન્સર્ડ આતંકવાદની નિંદા કરી હતી.
રાવલકોટમાં વિશાળ જનમેદનીને સંબોધતાં સરદાર અમન ખાને પાકિસ્તાની સરકારનાં બેવડાં ધોરણોનો પર્દાફાશ કર્યો હતો અને પાકિસ્તાન હંમેશાં દુનિયાથી જે સત્ય છુપાવતું આવ્યું છે એને ઉજાગર કર્યું હતું. પાકિસ્તાની સેના પર સીધો હુમલો કરીને અમન ખાને કહ્યું હતું કે ‘પાકિસ્તાની સેનાએ જ શરૂઆતમાં કાશ્મીરીઓને બંદૂકો પૂરી પાડી હતી અને જમ્મુ અને કાશ્મીરમાં શસ્ત્રો અને દારૂગોળો મોકલ્યાં હતાં. તેમની હિંમત જુઓ. આજે એ જ સરકાર કાશ્મીરીઓને તેમના હકો માગવા બદલ આતંકવાદી કહી રહી છે. હવે તમે અમારી માગણી પૂરી કરો અથવા અમે ભારત સાથે હાથ મિલાવી લઈશું.’
ADVERTISEMENT
અમન ખાને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રાવલકોટમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મોટા જલસાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે યાદ કર્યું હતું કે કેવી રીતે ખુલ્લેઆમ AK-47 અને નગ્ન તલવારો બતાવતા આતંકવાદીઓએ શહેરમાં કૂચ કરી હતી અને તેમને રોકવાને બદલે રાવલકોટના ડેપ્યુટી કમિશનરે માત્ર રૅલીને મંજૂરી આપી નહોતી, સરકારી સુરક્ષા પણ પૂરી પાડી હતી. પ્રશાસનને આડે હાથ લેતાં તેમણે કહ્યું હતું કે ‘ડેપ્યુટી કમિશનરસાહેબ, તમે અહીં બંદૂકો અને તલવારો સાથે આતંકવાદીઓની રૅલીઓ યોજતા હતા, યાદ છે? અને આજે તમે આ ભૂમિના અસલી વારસદારોને આતંકવાદી કહો છો જેઓ પોતાના અધિકાર માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે?’
રાવલકોટમાં થયેલા આ પ્રદર્શનમાં પાકિસ્તાન સાથેના સંબંધો સંપૂર્ણપણે તોડી નાખવાનો ગણગણાટ સ્પષ્ટ જોવા મળ્યો હતો. દેખાવકારોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ વિસ્તાર હવે ઇસ્લામાબાદના રિમોટ કન્ટ્રોલથી ચાલશે નહીં. JAACએ પાકિસ્તાન સરકારને કડક ચેતવણી આપી છે કે જો આંદોલનકારોની તમામ ૩૮ માગણીઓ તાત્કાલિક અમલમાં નહીં આવે તો આ વિરોધ માત્ર મૂળભૂત અધિકારો (જેમ કે વીજળી અને લોટ પર સબસિડી) પૂરતો મર્યાદિત રહેશે નહીં.
પાકિસ્તાનમાં બસ-દુર્ઘટનામાં ૪૦ પૅસેન્જરે જીવ ગુમાવ્યો

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનની સરહદ નજીક એક ઓવરલોડેડ પૅસેન્જર બસ ગઈ કાલે સવારે ઊંડી ખીણમાં પડી જવાને કારણે આશરે ૪૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૮ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક જાણકારી મુજબ ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યા બાદ આ અકસ્માત થયો હતો.
