પશ્ચિમના દેશોના પાખંડ વિશે બોલતાં અરાઘચીએ કહ્યું હતું કે યુક્રેનના પરમાણુમથકો પર રશિયા હુમલો કરે તો તેઓ એની ટીકા કરે છે
પ્રતીકાત્મક તસવીર
ઈરાનના બુશહર પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલી હુમલા બાદ રેડિયો-ઍક્ટિવિટીના કારણે કિરણોત્સર્ગ ફેલાવાનું ગંભીર જોખમ છે જે ગલ્ફ દેશોની રાજધાનીઓમાં મોટો વિનાશ લાવી શકે છે. આ મુદ્દે ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીએ વિશ્વને ચેતવણી આપી છે કે બુશહર પરમાણુ પ્લાન્ટ પરના વારંવારના હુમલાઓથી ઈરાન કરતાં ગલ્ફ દેશોમાં વિનાશ આવી શકે છે. શહેરમાં ફેલાતા કિરણોત્સર્ગની અસરો હજી પણ યથાવત્ છે. જો પ્લાન્ટમાંથી કિરણોત્સર્ગી સામગ્રી લીક થાય છે તો એની અસર ફક્ત ઈરાન સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ ગલ્ફ દેશોમાં જીવનને જોખમમાં મૂકી શકે છે. પશ્ચિમી દેશો દ્વારા હુમલો પરમાણુ-પ્લાન્ટમાં કિરણોત્સર્ગ ફેલાવી શકે છે જેનાથી ગલ્ફ કોઑપરેશન કાઉન્સિલ (GCC) રાજધાનીઓમાં વિનાશ થઈ શકે છે, કારણ કે પ્લાન્ટ દરિયાકાંઠે છે અને ત્યાંથી ગલ્ફ દેશોની રાજધાનીઓ વધારે નજીક છે.
પશ્ચિમના દેશોના પાખંડ વિશે બોલતાં અરાઘચીએ કહ્યું હતું કે યુક્રેનના પરમાણુમથકો પર રશિયા હુમલો કરે તો તેઓ એની ટીકા કરે છે, પણ અમેરિકા-ઇઝરાયલ બુશહરમાં આમ કરે તો તેઓ ચુપકીદી સેવે છે. આ તેમનો પાખંડ છે. અમેરિકાએ ૪ વાર બુશહર પર હુમલો કર્યો છે. એમાંથી કિરણોત્સર્ગ બહાર ફેલાશે તો ઈરાન કરતાં બીજા ગલ્ફ દેશોમાં વધારે તબાહી મચાવશે.
ADVERTISEMENT
આ મુદ્દે અરાઘચીએ યુનાઇટેડ નેશન્સને પણ પત્ર લખ્યો છે.
તાત્કાલિક અસરો કેવી હશે?
પરમાણુ-વિસ્ફોટ અથવા પ્લાન્ટ લીક થવાથી ઍક્યુટ રેડિયેશન સિન્ડ્રોમ થઈ શકે છે જે ઉબકા, ઊલટી, ઝાડા, ત્વચામાં બળતરા અને કલાકોમાં મૃત્યુ પણ થઈ શકે છે. આ કિરણોત્સર્ગ આનુવંશિક નુકસાન અને કૅન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો કરી શકે છે જે ભવિષ્યની પેઢીઓને અસર કરી શકે છે.
