આ વર્ષનો સિંહસ્થ કુંભ ભવ્ય અને દિવ્ય રહેશે એવી આશા રાખતાં
અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય બેઠકમાં સંતો સાથે દેવેન્દ્ર ફડણવીસ
અખિલ ભારતીય સંત-સંમેલનમાં સિંહસ્થ કુંભમેળા વિશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મોટી જાહેરાત કરી છે. આ વર્ષનો કુંભ ભવ્ય અને દિવ્ય રહેશે એમ કહીને તેમણે ૩૫,૦૦૦ કરોડ રૂપિયાનાં કાર્યોનો રોડમૅપ રજૂ કર્યો હતો. અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય બેઠકમાં યંબકેશ્વરમાં તમામ સંતો અને મહંતોનું સ્વાગત કરતાં તેમણે સનાતન સંસ્કૃતિના સંરક્ષણ પર ભાર મૂક્યો હતો.
નાશિક કુંભમેળાની માળખાગત સુવિધા સિંહસ્થ કુંભમેળા માટે માર્ગ, રેલવે અને ઍરપોર્ટ સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવશે એમ કહીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ગોદાવરી નદીને સ્વચ્છ રાખવા માટે કાયમી પગલાં લેવામાં આવશે અને યંબકેશ્વરમાં આખું વર્ષ પાણી વહેતું રહે એ માટે પણ કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી સાધુગ્રામ માટે ખેડૂતો પાસેથી ભાડે જમીન લેવામાં આવતી હતી. હવે સરકારે એ જમીન સીધી ખરીદવાનો નિર્ણય લીધો છે.’
જો કોઈ ભૂલ રહી ગઈ તો અમને ગાળો પડશે : ફડણવીસ
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આટલું મોટું આયોજન કરવાનું હોય ત્યારે કોઈ ને કોઈ ભૂલ રહી જવાની શક્યતા હોય છે. દરેક કુંભ વખતે આવું થાય છે જે એ પછીના કુંભ મેળામાં સુધારી લેવાય છે. કુંભમેળાપ્રધાન તરીકે ગિરીશ મહાજનને જવાબદારી સોંપવામાં આવી છે. જો કોઈ ભૂલ રહી ગઈ તો પહેલી ગાળ તેમને ને બીજી ગાળ મને પડશે. તેમનું આવું વક્તવ્ય સાંભળીને પરિષદમાં ઉપસ્થિત સાધુસંતો પણ ખડખડાટ હસી પડ્યા હતા.
