પ્રવાસીઓને ઘરે જતી વખતે અનાજ, કઠોળ અને મસાલાની ખરીદી કરવાનું સહેલું બનશે
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવે દ્વારા લોકલ ટ્રેનનાં સ્ટેશનોની બહાર રેલવેની માલિકીની જગ્યાએ કરિયાણાની દુકાનો શરૂ કરવામાં આવશે. રેલવે દ્વારા ભાડાં સિવાયની આવક વધારવા માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને પગલે પ્રવાસીઓને કરિયાણું ખરીદવાની સુવિધા મળશે, પરંતુ આ નિર્ણયને કારણે સ્ટેશન-પરિસરમાં ભીડ વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે.
પ્રાથમિક તબક્કે આ યોજના માટે ત્રણ સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે જેમાં મેઇન લાઇન પર આવેલા છેવાડાનાં સ્ટેશનો કસારા અને વાશિંદ તથા હાર્બર લાઇન પરના માનખુર્દ સ્ટેશનનો સમાવેશ છે. એ માટે સેન્ટ્રલ રેલવેએ ટેન્ડર-પ્રક્રિયા શરૂ કરી છે.
ADVERTISEMENT
રેલવેના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ અત્યારે સ્ટેશન-પરિસરમાં આવેલા સ્ટૉલ પર પૅકેજ્ડ સ્નૅક્સ, પાણી, દવા અને ગરમ નાસ્તો વેચાય છે. હવે તૈયાર થનારા ૧૪૦થી ૧૫૦ ચોરસ ફુટનાં આ નવાં આઉટલેટ્સ પર અનાજ, કઠોળ, મસાલા અને ખાદ્ય તેલ જેવી દૈનિક જીવનની આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધાથી પ્રવાસીઓ ઘરે જતી વખતે સ્ટેશન પરથી જ કરિયાણાની ખરીદી કરી શકશે.
