હવે અજિત પવારના નિધનને કારણે પ્રચારની પૅટર્નમાં પણ ફેરફાર થયો છે.
પ્રતીકાત્મક તસવીર
અજિત પવારના આકસ્મિક નિધનને લઈને રાજ્યમાં ૩ દિવસનો શોક જાહેર કર્યો હોવાથી રાજ્યની ૧૨ જિલ્લાપરિષદો અને ૧૨૫ પંચાયતોની ચૂંટણી જે પાંચમી ફેબ્રુઆરીએ થવાની હતી એ હવે ૭ ફેબ્રુઆરીએ થશે. એ જ પ્રમાણે મતગણતરી પણ ૯ ફેબ્રુઆરીએ કરવામાં આવશે એમ સ્ટેટ ઇલેક્શન કમિશને જણાવ્યું છે.
બીજી બાજુ જિલ્લાપરિષદ અને પંચાયતોની ચૂંટણીનો પ્રચાર ચાલુ હતો, પણ હવે અજિત પવારના નિધનને કારણે પ્રચારની પૅટર્નમાં પણ ફેરફાર થયો છે. ખાસ કરીને બાર્શીમાં બે શિવસેના અને બે NCP સાથે મહા આઘાડી બનાવી છે. બાર્શીના વિધાનસભ્ય દિલીપ સોપલ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા રાજેન્દ્ર રાઉતે કાર્યકરોને કોઈ પણ ધૂમધડાકા વગર, ક્યાંય પણ લાઉડસ્પીકર પર કે ફટાકડા ફોડ્યા વગર લોકોને હળીમળીને સાદી રીતે પ્રચાર કરવા જણાવ્યું છે. વળી બાર્શીમાં સભા લેવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બન્ને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર અને એકનાથ શિંદે પણ જવાના હતા. હવે બાર્શીમાં તેમનામાંથી કોઈ પણ પ્રચારસભા માટે નહીં જાય એવું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
BJPના નેતા રાજેન્દ્ર રાઉતે કાર્યકરોને વિનંતી કરતાં કહ્યું છે કે ‘અજિતદાદાના નિધનને કારણે આખું મહારાષ્ટ્ર હાલ શોકમાં છે ત્યારે આપણા દરેક ઉમેદવારે પ્રચાર માટે નીકળતી વખતે કોઈ મ્યુઝિક વગાડવું નહીં કે આતશબાજી કરવી નહીં. બધાએ મતદારોના ઘરે-ઘરે પગપાળા જઈને સંપર્ક કરવો.’
પુણે અને બારામતીમાં લોકોએ સ્વેચ્છાએ બંધ પાળ્યો
પુણે ડિસ્ટ્રિક્ટ ઑટોરિક્ષા ડ્રાઇવર-ઓનર્સ અસોસિએશન અને પુણે શહેરનાં તમામ ઑટોરિક્ષા યુનિયનોએ નાયબ મુખ્ય પ્રધાન અને પુણેના પાલકપ્રધાન અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુરુવારે સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી રિક્ષાઓ બંધ રાખી હતી. પુણે શહેર ઉપરાંત જિલ્લાનાં મોટા ભાગનાં ગામોએ પણ બજારો, ઑફિસો વગેરે બંધ રાખીને સ્વેચ્છાએ બંધ પાળ્યો હતો. મેન્ડી બુદ્રુક ગામે સંપૂર્ણ બંધ પાળ્યો હતો તો શિરૂર, યેઉર, આંબેગાવ જેવાં ગામોમાં પણ લોકોએ તેમના પ્રિય નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે બંધ પાળ્યો હતો. પુણે અને બારામતી જિલ્લાની સ્કૂલો તથા કૉલેજોમાં પણ રજા આપી દેવામાં આવી હતી.


