વરસાદમાં પાણી ભરાવાની દર વખતની સમસ્યાને નાથવા BMCએ આ પ્લાન બનાવ્યો છે
દર વર્ષે મૉન્સૂનમાં અંધેરી સબવેમાં પાણી ભરાઈ જવાથી આવી પરિસ્થિતિ સર્જાય છે
મુંબઈમાં થોડા વરસાદમાં પણ અંધેરી સબવેમાં પાણી ભરાઈ જાય છે અને અંધેરી ઈસ્ટથી વેસ્ટ અને વેસ્ટથી ઈસ્ટ આવતાં-જતાં વાહનો અને રાહદારીઓ માટે સાવચેતીની દૃષ્ટિએ સબવે બંધ કરી દેવો પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અંધેરી સબવે પર ફ્લાયઓવર બનાવવાનું વિચારી રહી છે. મોગરા નાળામાં પાણી ભરાવાથી અને ઊંચી ભરતીના બૅકફ્લોને કારણે દર વર્ષે સબવેમાં પાણી ભરાવાથી ટ્રાફિકમાં અવરોધ ઊભો થાય છે. BMC દ્વારા એટલે સબવે પર ફ્લાયઓવર બની શકે કે નહીં એની શક્યતા, ખર્ચ અને રેલવેની પરવાનગીઓનો અભ્યાસ કરવા માટે એક સલાહકારની નિમણૂક કરવામાં આવી છે, જેનો રિપોર્ટ ૩ મહિનામાં આવવાની અપેક્ષા છે.
પાણી ભરાવાનું કારણ
ADVERTISEMENT
અંધેરી સબવેમાં ભારે વરસાદ દરમ્યાન વારંવાર પાણી ભરાય છે. આ માટેનું મુખ્ય કારણ સબવેની બાજુમાં જ આવેલું મોગરા વિલેજનું નાળું છે. આ નાળું લગભગ ૨.૫ કિલોમીટર દૂર નીકળે છે અને સબવે તરફ લગભગ ૧૩ મીટરનો ઢોળાવ (સ્લોપ) ધરાવે છે જેના પરિણામે ભારે વરસાદ દરમ્યાન પૂર આવે છે.
મોગરા નાળામાં પાણીનું સ્તર વધે છે અને ભરતી દરમ્યાન પરિસ્થિતિ વધુ વણસે છે. બૅકફ્લો થાય છે ત્યારે એનાથી દાઉદ બાગ, આઝાદનગર અને સબવે સહિત આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે, જેને કારણે એ સબવે બંધ કરવાની અને ટ્રાફિકને ડાઇવર્ટ કરવાની ફરજ પડે છે.
બ્રિજ ડિપાર્ટમેન્ટનો પ્રસ્તાવ
લાંબા ગાળાનો ઉકેલ શોધવા માટે BMCના પુલ વિભાગે હાલના સબવે પર ફ્લાયઓવર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્ત હાલમાં વૉર્ડ-પ્લાનિંગના તબક્કામાં છે, પરંતુ સુધરાઈના અધિકારીઓએ પહેલાં વિગતવાર શક્યતા ચકાસવાનું નક્કી કર્યું છે.
પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે BMC દ્વારા સલાહકારની નિમણૂક કરવામાં આવી છે. એ સલાહકાર તપાસ કરશે કે શું ફ્લાયઓવર ત્યાં બનાવી શકાય છે એમ છે, એની સંભવિત લંબાઈ, બાંધકામ દરમ્યાન પડકારો, ખર્ચની અસરો અને અપેક્ષિત લાભો વગેરે વિગતો ચકાસશે. આ અભ્યાસમાં બ્રિજ નીચેથી રેલવે પસાર થતી હોવાથી ખાસ કરીને રેલવે-અધિકારીઓ પાસેથી જરૂરી પરવાનગીઓને પણ ગણતરીમાં લેવી પડશે. આ રિપોર્ટ ૩ મહિનામાં સુપરત કરવામાં આવશે.


