પુણે નજીક ઇન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો : ૪ જણનાં મોત, ૧૮ વ્યક્તિ ઘાયલ, કેટલાક લોકો તણાઈ ગયા હોવાની આશંકા
ગઈ કાલે પુણે જિલ્લાના કુંડમળા નજીક ઇન્દ્રાયણી નદી પરનો બ્રિજ તૂટી પડ્યો હતો.
પુણે નજીક ઇન્દ્રાયણી નદી પરનો બ્રિજ તૂટી પડ્યો : ૪નાં મોત, ૧૮ ઘાયલ, અનેક તણાઈ ગયા હોવાની આશંકા : રવિવારની રજામાં પરિવાર સાથે ફરવા આવેલા લોકો નદીના પટમાં પટકાયા
વર્ષો જૂનો લોખંડનો બ્રિજ જોખમી હોવાથી પ્રશાસને એ ફક્ત રાહદારીઓ માટે જ હોવાની જાહેરાત કરતું બોર્ડ પણ માર્યું હતું, એમ છતાં કેટલાક લોકો ટૂ- વ્હીલર લઈને પણ પહોંચી ગયા હતા.
ADVERTISEMENT
સાંકડા બ્રિજ પર બહુ ભીડ થઈ ગઈ હતી, સામસામે બાઇકો આવી જતાં જૅમ થઈ ગયો અને લોડ થઈ જતાં બ્રિજ તૂટી પડ્યો હોવાની ચર્ચા.
લોકો ફરવા આવતા હોવા છતાં કોઈ પોલીસ-કર્મચારી તહેનાત કરાયો નહોતો.
પહેલાં એક કડાકો બોલ્યો અને પાંચ-સાત સેકન્ડ પછી બ્રિજ તૂટ્યો.
NDRF અને અન્ય રેસ્ક્યુ એજન્સીના જવાનોએ ૩૮ જણને બચાવ્યા.
રાજ્ય સરકારે દુર્ઘટનામાં જીવ ગુમાવનારના પરિવારને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
પુણેના માવળ તાલુકામાં આવેલા તળેગાવ–દાભાડે પાસે ઇન્દ્રાયણી નદી પર કુંડમળા ટૂરિસ્ટ સ્પૉટ પર આવેલો વર્ષો જૂનો લોખંડનો સાંકડો બ્રિજ ગઈ કાલે બપોરે ૩.૩૦ વાગ્યે તૂટી પડતાં હોનારત સર્જાઈ હતી. આ હોનારતમાં ૪ જણનાં મોત થયાં હતાં, બે જણ તૂટી પડેલા બ્રિજના કાટમાળ હેઠળ ફસાઈ જતાં મોતને ભેટ્યા હતા, જ્યારે બે જણને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી ત્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનામાં ૧૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને અલગ-અલગ ત્રણ હૉસ્પિટલોમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક લોકો પાણીના વહેણમાં તણાઈ ગયા કે ફસાઈ ગયાની પણ ભીતિ સેવાઈ રહી છે.
પુણે નજીકનો બ્રિજ
છેલ્લા બે-ત્રણ દિવસથી પુણેમાં સારોએવો વરસાદ પડી રહ્યો હોવાથી ઠંડક પ્રસરી ગઈ છે અને ગઈ કાલે લોકો રવિવારની રજા હોવાથી પરિવાર સાથે ફરવા નીકળ્યા હતા. કુંડમળા ખાતે ઇન્દ્રાયણી નદી પર એક નાનો ધોધ છે. સારો વરસાદ વરસતાં ઇન્દ્રાયણીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. એથી ઘણા લોકો એ બ્રિજ પર એ પ્રવાહને જોવાનો આનંદ લેવા ત્યાં પહોંચી ગયા હતા. એવું કહેવાઈ રહ્યું છે કે જ્યારે દુર્ઘટના બની ત્યારે બ્રિજ પર લગભગ ૧૦૦થી વધુ લોકો હાજર હતા.
જ્યારે બ્રિજ તૂટી પડ્યો ત્યારે વરસાદ નહોતો. એ તૂટી પડ્યાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, પોલીસ, ફાયર-બ્રિગેડ અને સ્થાનિક રેસ્ક્યુ ઑર્ગેનાઇઝનના જવાનો મદદ માટે પહોંચી ગયા હતા. એ પછી નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફૉર્સની ટીમ પણ આવી પહોંચી હતી. બચાવકાર્ય કરનાર જવાનોએ દોરડાઓ વડે ઊંડા પાણીમાં ખડકો વચ્ચે જઈને, ધસમસતા પાણીના પ્રવાહમાં ખડકોમાં ફસાયેલા લોકોને બહાર ખેંચી કાઢ્યા હતા. બ્રિજના કાટમાળને હટાવવા મોટી ક્રેનો પણ બોલાવવામાં આવી હતી. કાટમાળ હેઠળ પણ કેટલાક લોકો ફસાયા હતા.
રાજ્યના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રધાન ગિરીશ મહાજન ઘટનાની જાણ થતાં સ્પૉટ પર પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઑપરેશનને જોઈતી મદદ પૂરી પાડી હતી. ગિરીશ મહાજને કહ્યું હતું કે ‘એ બ્રિજ ફ્ક્ત રાહદારીઓ માટે હતો અને એના પર બોર્ડ પણ માર્યું છે કે એના પર ટૂ વ્હીલર લઈ જવાં નહીં. એમ છતાં લોકોએ એ ચેતવણી ગણકારી નહીં અને અકસ્માત થયો. રાજ્ય સરકારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારના પરિવારને પાંચ લાખ રૂપિયાનું વળતર આપશે.
રડતાં-રડતાં અને આજીજી કરતાં કહ્યું, ‘મને બચાવી લો’
આ દુર્ઘટના વખતે બ્રિજ પર મિત્રો સાથે ફરવા ગયેલા દીપક નામના યુવકે કહ્યું હતું કે ‘અમે બ્રિજ પર પહોંચ્યા ત્યારે ત્યાં બહુ જ ગિરદી હતી. બન્ને બાજુથી લોકોની આવનજાવન હતી. એમાં બાઇકો પણ ફસાઈ હતી એટલે બ્રિજ પર લોડ આવી ગયો હતો. એમાં પહેલાં કડાકો બોલ્યો અને ચારથી પાંચ સેકન્ડમાં જ બ્રિજ તૂટી પડ્યો હતો. અમે લોકો આગળની સાઇડ હતા એટલે બ્રિજની સાથે નીચે પટકાયા. અમારો એ ભાગ ખડક પર પટકાયો હતો એથી અમે એ પછી ખડક ચડીને આવ્યા. જે વચ્ચે હતા એ પુલની નીચે કાટમાળમાં ફસાયા હતા. એક પરિવારનો પાંચ-છ વર્ષનો છોકરો તેમની નજર સામે જ મોતને ભેટ્યો હતો. છોકરાના પિતા કાટમાળ હેઠળ બહુ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અમે તેમને બહાર કાઢવા પ્રયાસ કર્યા, પણ કાટમાળનું વજન વધારે હોવાથી અમે તેમને બહાર ખેંચી ન શક્યા. તેમને ગંભીર ઈજા થઈ હતી અને ઘણું લોહી વહી રહ્યું હતું. તેમની નજર સામે જ તેમનો દીકરો મૃત્યુ પામ્યો હતો. તેમનાં પત્ની બચી ગયાં હતાં. તેઓ પણ અમને રિક્વેસ્ટ કરતાં હતાં કે તેમને બહાર કાઢો. તે ભાઈ રડતાં-રડતાં અમને કહેતા હતા કે મને બચાવો મને બહાર કાઢો. પછી પોલીસ અને ફાયર-બ્રિગેડ આવ્યા બાદ ઘણીબધી જહેમત બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને હૉસ્પિટલ લઈ જવાયા હતા.’

