૬ મહિના પહેલાં મૂર્તિ બુક કરાવી હતી, લાવ્યા ત્યારે ખંડિત હોવાનું જણાયું, ભારે હૈયે આપી વિદાય
સ્થાપના પહેલાં જ વિસર્જન માટે લઈ જવામાં આવતી ખંડિત થયેલી ગણેશમૂર્તિ.
જળગાવના એક ગણેશમંડળને મૂર્તિ લાવતી વખતે જ મૂર્તિ ખંડિત હોવાનું જણાતાં તેમનો આ વર્ષનો ગણેશોત્સવ બગડ્યો હોવાની ઘટના સામે આવી છે. મૂર્તિ લાવતી વખતે મૂર્તિ ખંડિત હોવાની જાણ થતાં તેમણે ગણશમૂર્તિની મંડપમાં સ્થાપના કરાય એ પહેલાં જ એનું વિસર્જન કરવાની ફરજ પડી હતી. આખા મંડળે ભારે હૃદયે પોતાના વહાલા ગણપતિને વિદાય આપી હતી.
આ વિશે વાત કરતાં જળગાવના નવી પેઠના જય મહારાષ્ટ્ર મિત્ર મંડળના અધ્યક્ષ ભૂષણ જોશીએ કહ્યું હતું કે ‘અમે ૬ મહિના પહેલાં જ બરહાનપુરમાં આવેલા મૂર્તિકાર વૈદ્ય આણિ સન્સમાં અનંત વૈદ્ય પાસે મૂર્તિ બુક કરાવી હતી અને અમે તેમના સતત સંપર્કમાં હતા. તે દર વખતે અમને સમયસર મૂર્તિ મળી જશે એવું આશ્વાસન આપતા હતા. ૮ દિવસ પહેલાં પણ અમે તેમનો સંપર્ક કર્યો હતો. અમારા બે સભ્ય પણ મૂર્તિ તૈયાર થતી હતી એ વખતે ત્યાં હાજર હતા. જોકે અમે જ્યારે મૂર્તિ લાવ્યા અને ડાયમન્ડનો શણગાર કરવા માટે મૂર્તિ પરથી કપડું હટાવ્યું ત્યારે એમાં તિરાડ પડેલી હોવાનું જણાયું હતું. મૂર્તિ લાવ્યાના બે દિવસ બાદ અમે એમાં ડાયમન્ડ લગાવવા માટે એના પરથી કપડું હટાવ્યું હતું.’
