જોકે ATM તોડીને ચોરી કરવા આવેલા બન્ને ચોરો મોઢા પર સ્કાર્ફ બાંધીને આવ્યા હોવાથી પોલીસને હજી તેમની કોઈ માહિતી મળી નથી.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઘાટકોપર-વેસ્ટના ન્યુ માણેકલાલ એસ્ટેટ નજીકના સિલ્વર હાર્મની બિલ્ડિંગમાં આવેલી અભ્યુદય બૅન્કનું ઑટોમેટેડ ટેલર મશીન (ATM) તોડીને રવિવારે રાતે બે લોકો ૮,૮૬,૬૦૦ રૂપિયા ચોરી ગયા હોવાની ફરિયાદ ગઈ કાલે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. ATM તોડીને પૈસા ચોરી થયા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતાં સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓને ઓળખવા ATMમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ભેગાં કરી રહી છે. જોકે ATM તોડીને ચોરી કરવા આવેલા બન્ને ચોરો મોઢા પર સ્કાર્ફ બાંધીને આવ્યા હોવાથી પોલીસને હજી તેમની કોઈ માહિતી મળી નથી.
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માણેકલાલ નજીક આવેલી અભ્યુદય બૅન્કના ATMમાં રવિવારે સવારે ૯,૩૦,૬૦૦ રૂપિયાની રોકડ રાખવામાં આવી હતી. સોમવારે સવારે બૅન્કના અધિકારી બૅન્કમાં આવ્યા ત્યારે ATM તૂટેલી હાલતમાં જોઈને તાત્કાલિક વધુ તપાસ કરવામાં આવી ત્યારે પૈસા ચોરી થયા હોવાની જાણ થતાં આ ઘટનાની માહિતી અમને આપવામાં આવી હતી. અમારી ટીમે ઘટનાસ્થળે જઈને CCTV કૅમેરાનાં ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. એમાં રવિવારે વહેલી સવારે સાડાચાર વાગ્યાની આસપાસ બે લોકો મોં પર સ્કાર્ફ બાંધી ATM સેન્ટરની અંદર આવી ધારદાર વસ્તુથી ATMની કૅશ ટ્રેને તોડીને પૈસા કાઢતા જોવા મળ્યા હતા. આ ઘટના બાદ અભ્યુદય બૅન્કના ચીફ મૅનેજર જ્ઞાનેશ્વર બનગરની ફરિયાદ પર ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ કામ જાણકાર વ્યક્તિનું હોય એવું લાગે છે, કારણ કે ચોરી કરવા આવેલા બન્નેને ATMની અંદર ક્યાં-ક્યાં CCTV કૅમેરા લાગ્યા છે એની માહિતી હતી. આ ઉપરાંત ATM ક્યાંથી અને કઈ રીતે તોડવું એની પણ તેમને માહિતી હતી. આ કેસમાં જૉઇન્ટ તપાસ ક્રાઇમ બ્રાન્ચ પણ કરી રહી છે.’

