શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની યુતિ માટે આદિત્ય ઉદ્ધવ ઠાકરે અને અમિત રાજ ઠાકરેનું વલણ પૉઝિટિવ છે
ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, અમિત ઠાકરે, આદિત્ય ઠાકરે
ઠાકરે પરિવારની નવી પેઢીના આદિત્ય અને અમિત ઠાકરે યુતિ માટે તૈયારી બતાવી રહ્યા છે ત્યારે હવે બધાની આંખો મંડાઈ છે ઉદ્ધવ અને રાજ ઠાકરેના નિર્ણય પર. મહારાષ્ટ્ર અને મરાઠીઓ માટે દાયકાઓ જૂનું વેર ભૂલીને ઉદ્ધવ અને રાજ ઠાકરે એક થશે કે નહીં એના પર બધાની નજર છે.
ગુરુવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેએ MNS અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ની યુતિની શક્યતાઓ વિશે પૂછતાં જણાવ્યું હતું કે ‘બન્ને ભાઈઓએ માત્ર ફોન ઉપાડીને સમજૂતીની વાત કરવાની છે. મીડિયાના સાઉન્ડ-બાઇટ્સ કે ન્યુઝપેપરના ઇન્ટરવ્યુથી યુતિ ન બની શકે.’
ADVERTISEMENT
થોડા દિવસ અગાઉ અમિત ઠાકરેના કઝિન અને શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ પણ બન્ને ભાઈઓમાં યુતિ થવાની સંભાવના હોય એવું નિવેદન આપતાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના હિતમાં અમે કોઈની પણ સાથે સંધિ કરવા તૈયાર છીએ.
ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે સમજૂતી માટે બન્ને પક્ષના કાર્યકરોને આશા છે કે ટૂંક સમયમાં આવતા મહત્ત્વના દિવસોમાંથી એક દિવસે MNS અને શિવસેના (UBT) એક થઈ શકે છે. ૧૪ જૂને રાજ ઠાકરેનો જન્મ દિવસ છે. ૧૯ જૂને શિવસેનાનો સ્થાપના દિવસ છે તેમ જ ૨૬ જુલાઈએ ઉદ્ધવ ઠાકરેનો જન્મદિવસ છે. આ દિવસોમાં બન્ને પક્ષ તરફથી મહત્ત્વની જાહેરાત થાય એની રાહ જોવાઈ રહી છે.

