ઇન્દોરમાં દૂષિત પાણીને કારણે સર્જાયેલી કટોકટી હવે હરિયાણાના પલવલમાં થઈ છે.
પ્રતીકાત્મક તસવીર
ઇન્દોરમાં દૂષિત પાણીને કારણે સર્જાયેલી કટોકટી હવે હરિયાણાના પલવલમાં થઈ છે. છેલ્લા ૧૫ દિવસની અંદર પલવલ જિલ્લાના છાયંસા ગામમાં ગંદા પાણીને કારણે ૧૨ લોકોનાં મૃત્યુના સમાચાર છે. એમાં પાંચ બાળકો પણ સામેલ છે.
૩૧ જાન્યુઆરીએ છાયંસા ગામમાં કમળો થવાને કારણે પહેલું મૃત્યુ નોંધાયું હતું. એ વખતે બીજા ૩ લોકો પણ બીમાર પડ્યા હતા અને તેમનાં પણ મૃત્યુ થયાં હતાં. એ પછીથી મરનારાઓની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો. સ્વાસ્થ્ય-અધિકારીઓને શંકા છે કે આ મૃત્યુ દૂષિત પાણીને કારણે થયાં હોઈ શકે છે. છાયંસા ગામમાં લગભગ દરેક ઘરમાં કોઈને તાવ તો કોઈને ખાંસી, કોઈને શરીરમાં કળતર અને ઊલટી જેવાં લક્ષણો છે. સ્વાસ્થ્ય-વિભાગના લોકોએ લગભગ ૮૦૦ લોકોની તપાસ કરી છે. અધિકારીઓને હજી ૧૨ મૃત્યુ પાછળનું કારણ સ્પષ્ટ નથી થયું, પરંતુ મોટા ભાગના દરદીઓમાં એક જેવાં જ અને ખરાબ પાણીને કારણે દેખાતાં લક્ષણો જ દેખાઈ રહ્યાં છે.


