માલિકીહકનો દાવો કરીને ખેડૂતે સરકાર પાસે માગ્યું ૩૫૦૦ કરોડ રૂપિયાનું વળતર : બ્રિટિશ સરકારે યુદ્ધ સમયે જમીન લઈ લીધી હતી એવો દાવો કર્યો
અશ્વિની બાંદે
છત્તીસગઢના રાયપુરમાં સ્વામી વિવેકાનંદ ઍરપોર્ટ જે જમીન પર બનાવવામાં આવ્યું છે એ જમીનની માલિકીનો દાવો કરીને ૫૩ વર્ષના અશ્વિની બાંદે નામના ખેડૂતે સરકાર પાસેથી જમીનની કિંમત, વ્યાજ અને જમીનના ભાડા સહિત આશરે ૩૫૦૦ કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં અશ્વિની બાંદેએ દાવો કર્યો હતો કે બ્રિટિશ સરકારે ૧૯૪૨માં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન લશ્કરી જરૂરિયાતો માટે તેમના પૂર્વજો પાસેથી જમીન કબજે કરી હતી. તેઓ પરિવારને વાર્ષિક ૧૩૦૦ રૂપિયા ભાડું ચૂકવતા હતા. યુદ્ધના અંત પછી જમીન પાછી આપવાનું વચન બ્રિટિશ સરકારે પાળ્યું નહોતું.
અશ્વિની બાંદે છેલ્લાં ૩૫ વર્ષથી કાનૂની લડાઈ લડી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમની પાસે તેમના દાવાને સમર્થન આપવા માટે સંબંધિત દસ્તાવેજો અને રેકૉર્ડ છે. ખેડૂતને રાયપુરમાં એક પ્રદર્શનમાં ઍરપોર્ટ સંબંધિત કેટલાક જૂના સરકારી રેકૉર્ડ મળ્યા હતા, જે સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હજી સુધી આ કેસ પર કોઈ ચુકાદો આપ્યો નથી.
