કેદારનાથમાં ભૂસ્ખલન બાદ ૭૩૫૦ શ્રદ્ધાળુઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા, કાટમાળ હટાવીને રસ્તો સુરક્ષિત ન થાય ત્યાં સુધી કેદારનાથ યાત્રા સ્થગિત રખાઈ
કેદારનાથ રેસ્ક્યુ
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ટ્રેક રૂટ પર ભૂસ્ખલન થતાં ફસાયેલા ૭૩૫૦ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર (SEOC)ના રિપોર્ટ અનુસાર રવિવારે રૂટને ભારે નુકસાન થયા બાદ સોમવારે સાંજ સુધીમાં ૭૨૦૦ લોકો અને ૧૨૦૦ ખચ્ચરોને સલામત સ્થળે ખસેડાયા હતા. ત્યાર બાદ મંગળવારે સવારે વધુ ૧૫૦ શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ગૌરીકુંડથી અંદાજે અઢી કિલોમીટર ઉપર ચિરબાસા હેલિપૅડ પાસે ભેખડો અને પથ્થરો પડતાં રસ્તો સંપૂર્ણપણે બ્લૉક થઈ ગયો હતો. રસ્તો બંધ થવાના કારણે રવિવારથી સોનપ્રયાગ અને ગૌરીકુંડ ખાતે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ અટવાયા હતા. હાલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD), જિલ્લા આપત્તિ રાહત દળ અને પોલીસના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે રસ્તો ખુલ્લો કરવાની કામગીરી ચાલી રહી છે.
તંત્ર દ્વારા જ્યાં સુધી કાટમાળ હટાવીને રસ્તો સંપૂર્ણ સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી કેદારનાથ યાત્રા સ્થગિત રાખવામાં આવી છે. પોલીસે તમામ શ્રદ્ધાળુઓને ધૈર્ય રાખવા અને વહીવટી તંત્રની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલપૂરતી અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.
