ભારત એના ૧.૪ અબજ લોકોની ઊર્જા-સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને પોતાનાં વેપારી તેમ જ આર્થિક હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં ઉઠાવશે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા ‘સૅન્ક્શનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ 2026’ મુદ્દે ભારતે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી હતી. વિદેશ-મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત એના ૧.૪ અબજ લોકોની ઊર્જા-સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને પોતાનાં વેપારી તેમ જ આર્થિક હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં ઉઠાવશે.
આ નવા બિલમાં અમેરિકાના રાષ્ટ્રપતિને એવી સત્તા આપવામાં આવી છે કે તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ અને ગૅસ ખરીદતા દેશો પર ૧૦૦ ટકા સુધીની જંગી ડ્યુટી લગાવી શકે છે. નોંધનીય છે કે ભારત હાલમાં દરિયાઈ માર્ગે રશિયન ક્રૂડ ઑઇલનો સૌથી મોટો ખરીદદાર દેશ છે.
વિદેશ-મંત્રાલયે નિવેદનમાં સ્પષ્ટતા કરી કે ભારતે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે અને અત્યારે પણ અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે કે ભારત બજારની ગતિશીલતા મુજબ વિવિધ સ્રોતોમાંથી ક્રૂડની ખરીદી ચાલુ રાખશે. સરકારે એવો પણ વિશ્વાસ અપાવ્યો છે કે આ બિલનાં પરિણામોનો સામનો કરવા માટે સરકાર ભારતીય વેપાર અને ઉદ્યોગજગત સાથે મળીને નજીકથી કામ કરશે. જોકે આ ટૅરિફની ભારતીય નિકાસ પર કેટલી અસર થશે એનો વાસ્તવિક અંદાજ અમેરિકા દ્વારા નિયમો લાગુ કરાયા બાદ જ આવશે.
