આ ૯ દિવસમાં ભીષણ ગરમી પડશે : ઉત્તર ભારત જવાના હો તો સાવધાન
પ્રતીકાત્મક તસવીર
આ વર્ષે ભીષણ ગરમીનો નૌતપા સમયગાળો ભારતમાં પચીસ મેથી બીજી જૂન સુધી રહેશે. ઉત્તર ભારતમાં આ ૯ દિવસના સમયગાળામાં ગરમી ચરમસીમાએ રહેશે. દર વર્ષે નૌતપાની તારીખ બદલાય છે. આ ૯ દિવસોમાં સૂર્ય તેજસ્વી રીતે ચમકે છે જેથી દિવસ દરમ્યાન રસ્તાઓ ભઠ્ઠીની જેમ તપે છે. ભેજને કારણે રાત્રે ઊંઘ પણ મુશ્કેલ બને છે. હવામાન વિભાગ આ દિવસોમાં ગરમીના મોજાની ચેતવણી પણ આપે છે. નૌતપા ખતમ થયા બાદ મૉન્સૂનની એન્ટ્રી થાય છે. પહેલા વરસાદથી તાપમાન ઓછું થાય છે અને લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળે છે.
નૌતપા પાછળનાં વૈજ્ઞાનિક કારણો
નૌતપાના સમયગાળામાં સૂર્ય કર્ક રેખાની એકદમ નજીક આવી જાય છે. પૃથ્વી પર સૂર્યનાં કિરણો સીધાં પડે છે અને તેથી જમીન તપે છે. આથી તાપમાન ૪૨ ડિગ્રીથી ૪૮ ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. ૪૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને હવામાં ભેજને કારણે પચાસથી પંચાવન ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી અનુભવાય છે. મેના છેલ્લા દિવસો અને જૂનની શરૂઆતમાં દિવસ મોટા અને રાત નાની બની જાય છે. સૂર્ય વધારે સમય સુધી ચમકતો હોવાથી ધરતી વધારે ગરમી શોષે છે.
ADVERTISEMENT
હીટ-સ્ટ્રોક અને ડીહાઇડ્રેશન
મૉન્સૂન આવતાં પહેલાં સમુદ્ર પરથી ભેજવાળી હવા ઉત્તર ભારત તરફ આગળ વધે છે. હવામાં ભેજ વધે છે પણ વરસાદ થતો નથી એટલે પસીનો સુકાતો નથી. નૌતપાના દિવસોમાં હીટ-સ્ટ્રોક અને ડીહાઇડ્રેશન થાય છે અને ચક્કર આવવાની સાથે કમજોરીનો ખતરો વધી જાય છે.
શું ધ્યાન રાખશો?
આ સમયગાળામાં બપોરે બારથી સાંજે ૪ વાગ્યા સુધી ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. વધારે પાણી પીવું જોઈએ અને ઓરલ રીહાઇડ્રેશન સૉલ્યુશન (ORS) પીવું જોઈએ. હળવા રંગનાં અને ઢીલાં કપડાં પહેરવાં જોઈએ. બાળકો અને સિનિયર સિટિઝનોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
