તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યાને છૂટાછેડા વખતે મિલકત આપવી ન પડે એટલે લાલુ પ્રસાદ યાદવે પુત્રને હાંકી કાઢવાનું નાટક કર્યું છે
જિતન રામ માંઝી
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ચાલી રહેલા હંગામા અંગે બોલતાં બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલમાં કેન્દ્રીય પ્રધાન જિતન રામ માંઝીએ દાવો કર્યો છે કે તેજ પ્રતાપ યાદવને પરિવારમાંથી હાંકી કાઢવાનું નાટક એટલા માટે કરવામાં આવ્યું છે કે તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યા રાયથી છૂટાછેડાના કેસમાં પરિવારની જંગમ અને સ્થાવર મિલકત બચાવી શકાય.
આ મુદ્દે એક ટીવી-ચૅનલ સાથે બોલતાં જિતન રામ માંઝીએ કહ્યું હતું કે ‘તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી બહાર કાઢવાનું લાલુ પ્રસાદનું નાટક છે. જ્યારે દરોગા પ્રસાદ રાયની પૌત્રી ઐશ્વર્યા સાથે તેજ પ્રતાપનાં લગ્ન થયાં ત્યારે તે કોઈ છોકરી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો. તેણે જાણીજોઈને લગ્ન કર્યાં એ તેની ભૂલ હતી. લગ્ન બાદ ઐશ્વર્યાને માર મારવામાં આવ્યો, અપમાનિત કરવામાં આવી અને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. જે સમયે આવું ઘૃણાસ્પદ કૃત્ય થયું ત્યારે લાલુ પ્રસાદનો અંતરાત્મા ક્યાં ગયો હતો? એટલે જ હું આને નાટક કહું છું.’
ADVERTISEMENT
આ મુદ્દે વધુમાં બોલતાં જિતન રામ માંઝીએ કહ્યું હતું કે ‘કોર્ટમાં જે નિર્ણય આવશે એ કદાચ ઐશ્વર્યાના પક્ષમાં હશે. તેને ભરણપોષણ તરીકે કંઈ આપવું પડે એવી સ્થિતિમાં કંઈ આપવું ન પડે તેથી લાલુ પરિવારે બહાર નીકળવાનો આ રસ્તો શોધી કાઢ્યો છે. ઐશ્વર્યાને ઘર અને પરિવારમાંથી કાઢી મૂકવામાં આવી હતી જેથી તેના નામે રહેલી જંગમ કે સ્થાવર મિલકતમાં વધુ હિસ્સો ન મળે. ચુકાદો આવશે ત્યારે કહેવામાં આવશે કે તેજ પ્રતાપ પાસે કંઈ નથી. ઐશ્વર્યાને કંઈ મળશે નહીં. આમ તેજ પ્રતાપને કાઢી મૂકવામાં આવ્યો એ નાટક છે.’

