મીરા-ભાઈંદરમાં રિક્ષા-ટૅક્સીના ડ્રાઇવરો માટે યોજાઈ મરાઠી વર્કશૉપ
૧૫ ઑગસ્ટ એટલે કે સ્વાતંયદિન સુધીમાં મરાઠી ભાષા શીખી લેવાનું અલ્ટિમેટમ પણ પ્રતાપ સરનાઈકે આપ્યું હતું
મરાઠી ન જાણતા હોય એવા રિક્ષા-ટૅક્સીના ડ્રાઇવરોને પહેલી મે સુધીની આપેલી ડેડલાઇન લંબાવાઈ અને તેમને મરાઠી ભાષા શીખવા માટે વધુ સમય આપવામાં આવ્યો ત્યાર પછી BJP અને શિવસેના દ્વારા તેમના માટે મરાઠી શીખવવા વર્કશૉપ્સનું આયોજન થઈ રહ્યું છે. એ અંતર્ગત શુક્રવારે મીરા-ભાઈંદરમાં આવી વર્કશૉપ યોજાઈ હતી. જોકે રસપ્રદ વાત એ હતી કે મરાઠી શીખવવાની જવાબદારી એક નૉન-મરાઠી ટીનેજરને સોંપવામાં આવી હતી.
રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકની હાજરીમાં યોજાયેલી આ વર્કશૉપમાં સપનાકુમારી નામની ટીનેજરને મરાઠી ભાષા શીખવવા પસંદ કરવામાં આવી હતી. એનું કારણ સપનાકુમારીએ તે મરાઠી ન હોવા છતાં દસમા ધોરણમાં મરાઠી વિષયમાં ૧૦૦માંથી ૯૧ માર્ક મેળવ્યા એ હતું. વર્કશૉપમાં બેઝિક મરાઠી શીખવવા ઉપરાંત બુકલેટ્સ પણ આપવામાં આવી હતી જેથી તેઓ સરળતાથી મરાઠી શીખી શકે.
ADVERTISEMENT
સ્વાતંયદિન સુધીમાં મરાઠી શીખી જજો, નહીંતર...
૧૫ ઑગસ્ટ એટલે કે સ્વાતંયદિન સુધીમાં મરાઠી ભાષા શીખી લેવાનું અલ્ટિમેટમ પણ પ્રતાપ સરનાઈકે આપ્યું હતું. ૧૫ ઑગસ્ટ સુધીમાં જે રિક્ષા-ટૅક્સીના ડ્રાઇવરો મરાઠી નહીં શીખે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અને લાઇસન્સ રદ કરવાની ચીમકી પણ તેમણે આપી હતી.
