Pahalgam Terror Attack: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદી હુમલાનો ગુપ્તચર અહેવાલ મળ્યો હતો, તેથી જ તેમણે જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ રદ કર્યો હોવાનો દાવો કરે છે કોંગ્રેસના મલ્લિકાઅર્જુન ખરગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેની ફાઇલ તસવીર
કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે (Mallikarjun Kharge)એ ઝારખંડ (Jharkhand)ની રાજધાની રાંચી (Ranchi)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે મંગળવારે દાવો કર્યો હતો કે, વડા પ્રધાન મોદીને જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના પહેલગામ (Pahalgam)માં આતંકવાદી હુમલાનો ગુપ્તચર અહેવાલ મળ્યો હતો, જેના પછી તેમણે કેન્દ્રશાસિત પ્રદેશની તેમની મુલાકાત રદ કરી હતી. તેમણે કહ્યું કે, ૨૨ એપ્રિલના રોજ પહેલગામ હુમલા (Pahalgam Terror Attack)ના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાનને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. તેથી જ તેમણે કાશ્મીરની મુલાકાતનો કાર્યક્રમ રદ કર્યો હતો. મેં આ વાત એક અખબારમાં પણ વાંચી હતી.
૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. ઝારખંડની રાજધાની રાંચીમાં `સંવિધાન બચાવો` રેલીને સંબોધતા, કોંગ્રેસ વડા મલ્લિકાર્જુન ખરગેએ વિચિત્ર દાવો કર્યો હતો. મલ્લિકાર્જુન ખરગેએ નાગરિકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા હોવા છતાં, સમાન ગુપ્ત માહિતીના આધારે વડા પ્રધાને તેમની કાશ્મીર મુલાકાત રદ કરી હોવા બદલ ટીકા કરી હતી. ઝારખંડમાં `સંવિધાન બચાવો` રેલીને સંબોધતા, તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે અગાઉથી ચેતવણી આપવા છતાં કોઈ નિવારક પગલાં કેમ લેવામાં આવ્યા ન હતા. તેમણે રેલીમાં કહ્યું કે, ૨૨ એપ્રિલે દેશમાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો જેમાં ૨૫ લોકો માર્યા ગયા હતા. તે ગુપ્તચર નિષ્ફળતા હતી; સરકારે તેને સ્વીકાર્યું છે અને કહ્યું છે કે તેઓ તેનો ઉકેલ લાવશે. પરંતુ જો તેમની પાસે તેના વિશે માહિતી હતી, તો શા માટે કંઈ કરવામાં આવ્યું નહીં?
ADVERTISEMENT
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, મને માહિતી મળી છે કે હુમલાના ત્રણ દિવસ પહેલા વડાપ્રધાન મોદીને એક ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો, જેના આધારે તેમણે કાશ્મીરની મુલાકાત લેવાનો તેમનો કાર્યક્રમ રદ કર્યો હતો. મેં આ વાત અખબારમાં પણ વાંચી હતી. જો ગુપ્તચર એજન્સીઓ ચેતવણી આપી શકે છે કે તમારા (વડાપ્રધાન) માટે ત્યાં જવું સલામત નથી, તો પછી તમે પ્રવાસીઓ અને નાગરિકોની સુરક્ષા માટે યોગ્ય પગલાં કેમ ન લીધા? આ ઉપરાંત, ખડગેએ વધુમાં કહ્યું કે સરકાર પાકિસ્તાન વિરુદ્ધ જે પણ નિર્ણય લે છે, તે તેની સાથે છે.
કાર્યક્રમને સંબોધતા મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું, અમે પહેલાથી જ કહી ચૂક્યા છીએ કે આતંકવાદ સામેની લડાઈમાં સરકાર પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ ગમે તેટલા કડક નિર્ણયો લેશે, અમે સરકારની સાથે ઉભા રહીશું. કારણ કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. દેશ પહેલા આવે છે, બાકીનું બધું ગૌણ છે. અમે આ દેશ માટે બલિદાન આપ્યું છે. તે જ સમયે, કોંગ્રેસ અધ્યક્ષે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ તે પક્ષમાંથી આવે છે જેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી (Indira Gandhi)એ પોતાનું બલિદાન આપ્યું હતું.
આ મામલે ભારતીય જનતા પાર્ટી – ભાજપ (Bharatiya Janata Party – BJP)એ વળતો પ્રહાર કર્યો. ઝારખંડ ભાજપના વડા બાબુલાલ મરાંડીએ કહ્યું કે, ખડગેની ટિપ્પણી એવા નિર્ણાયક સમયે આવી છે જ્યારે આતંકવાદ અને પાકિસ્તાન સામેની લડાઈ નિર્ણાયક વળાંક પર છે.

