Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > "તેઓ ઝૂંપડપટ્ટીમાં ફોટો શૂટ કરાવે છે": PM મોદીએ કાઢી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઝાટકણી

"તેઓ ઝૂંપડપટ્ટીમાં ફોટો શૂટ કરાવે છે": PM મોદીએ કાઢી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઝાટકણી

Published : 04 February, 2025 09:27 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

PM Narendra Modi Slams Rahul Gandhi: પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે 4 કરોડ ગરીબ લોકોને કોંક્રિટના ઘર પૂરા પાડ્યા, 12 કરોડથી વધુ શૌચાલયો બનાવ્યા અને 12 કરોડ પરિવારોને નળના પાણીની સુવિધા પૂરી પાડી.

નરેન્દ્ર મોદી (તસવીર: પીટીઆઇ)

નરેન્દ્ર મોદી (તસવીર: પીટીઆઇ)


સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કેટલાક લોકોને ગરીબો વિશે વાત કરવી કંટાળાજનક લાગે છે, પરંતુ અમારી સરકારે માત્ર સૂત્રો જ આપ્યા નથી પરંતુ સાચો વિકાસ પણ બતાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું, "દેશની જનતાએ મને 14મી વખત કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપી છે, આ માટે હું લોકોનો આભાર માનું છું." તેમણે કહ્યું કે ભારતે 21મી સદીનો 25 ટકા ભાગ પાર કરી લીધો છે અને આગામી 25 વર્ષ દેશને વિકસિત ભારત બનાવવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.


પ્રધાન મંત્રીએ કહ્યું કે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે દાયકાઓથી ફક્ત `ગરીબી હટાવો` ના નારા આપવામાં આવતા હતા, પરંતુ અમારી સરકારે તેને વાસ્તવિકતામાં ફેરવી દીધું. તેમણે કહ્યું, "અમે ગરીબોને ખોટા નારા નહીં, પણ વાસ્તવિક વિકાસ આપ્યો." પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે 4 કરોડ ગરીબ લોકોને કોંક્રિટના ઘર પૂરા પાડ્યા, 12 કરોડથી વધુ શૌચાલયો બનાવ્યા અને 12 કરોડ પરિવારોને નળના પાણીની સુવિધા પૂરી પાડી. વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે કેટલાક નેતાઓનું ધ્યાન સામાન્ય લોકોની સમસ્યાઓ પર નહીં પરંતુ ઘરોમાં `જાકુઝી` અને સ્ટાઇલિશ શાવર જેવી બાબતો પર છે.



વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક નેતાઓ ગરીબોની ઝૂંપડપટ્ટીઓમાં ફોટો સૅશન કરીને પોતાને મસીહા તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ વાસ્તવમાં તેમને ગરીબોની સમસ્યાઓથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું, "ઝૂંપડપટ્ટીમાં ફોટો સૅશન કરનારા લોકોને સંસદમાં ગરીબો વિશે વાત કરવી કંટાળાજનક લાગે છે." પીએમ મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે જો દિલ્હીમાંથી 1 રૂપિયો નીકળે છે, તો ગામડાઓમાં ફક્ત 15 પૈસા જ પહોંચે છે. પીએમ મોદીએ કહ્યું કે દેશના લોકો સારી રીતે સમજી શકે છે કે આ પૈસા આખરે કોના હાથમાં ગયા.


તેમની સરકારની પારદર્શિતા નીતિઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેમણે યોજનાઓમાંથી 10 કરોડ નકલી લાભાર્થીઓને દૂર કર્યા અને 3 લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચાવ્યા. તેમણે કહ્યું, "અમારું મોડેલ બચતની સાથે સાથે વિકાસનું પણ છે. જનતાના પૈસા ફક્ત જનતા માટે જ ખર્ચવામાં આવે છે." પ્રધાન મંત્રી મોદીએ કહ્યું કે તેમની સરકારના સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવવામાં આવી હતી, પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે આજે દરેક ગામમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અને લોકો વધુ સારું જીવન જીવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની સરકારનો ઉદ્દેશ્ય ગરીબોનું ઉત્થાન કરવાનો છે અને તેઓ આ માટે કામ કરતા રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2025 09:27 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK