ઈંટની ભઠ્ઠીમાં કામ કરતા માત્ર બે હિન્દુ શ્રમિકોને અલગ કર્યા અને ગોળી મારી, બીજા શ્રમિકે પણ ગઈ કાલે દમ તોડ્યો
શુક્રવારની આતંકવાદી ઘટના પછી ગઈ કાલે શ્રીનગરમાં એક વાહન અને એના ડ્રાઇવરનું સઘન ચેકિંગ કરતી પોલીસ.
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કેલમ વિસ્તારમાં બે હિન્દુ મજૂરોની ગોળી મારીને હત્યા કરવાની શુક્રવારે રાત્રે ૮.૩૦ વાગ્યે બનેલી ઘટના પહલગામ હુમલા જેવી જ હતી અને આતંકવાદીઓએ શ્રમિકોનાં નામ પૂછ્યા પછી હિન્દુઓને અલગ લગ ઊભા રાખીને તેમના પર પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી ગોળીબાર કર્યો હતો.
જીવ ગુમાવનારાઓમાં ઈંટની ભઠ્ઠીમાં કામ કરતા ૨૪ વર્ષના દીપક રાત્રે અને ૨૮ વર્ષના ભૂપેન્દ્રનો સમાવેશ છે. તેઓ છત્તીસગઢના રહેવાસી હતા. આ હુમલામાં દીપક રાત્રેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ભૂપેન્દ્રએ ગઈ કાલે સવારે શ્રીનગરની શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (SKIMS)માં સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. તેની છાતીના ડાબા ભાગમાં ગોળી વાગી હતી.
ADVERTISEMENT
નોંધનીય છે કે ૨૦૨૫માં બાવીસમી એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ ટૂરિસ્ટોને તેમનો ધર્મ પૂછ્યો હતો અને હિન્દુ જાણ્યા બાદ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ૨૬ જણે જીવ ગુમાવ્યા હતા.
વળતરની જાહેરાત
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ જીવ ગુમાવનારા શ્રમિકોના પરિવારો માટે વળતરની જાહેરાત કરી હતી. પહેલેથી જ આપવામાં આવી રહેલા ૬ લાખ રૂપિયાના વળતર ઉપરાંત મુખ્ય પ્રધાન રાહતભંડોળમાંથી ૧૦ લાખ રૂપિયાની રકમ પણ આપવામાં આવશે.
એક આતંકવાદી પાકિસ્તાની
આ હુમલા પાછળ એક સ્થાનિક અને એક વિદેશી આતંકવાદીની સંડોવણીની આશંકા છે. તપાસ મુખ્યત્વે મોહમ્મદ લતીફ પર કેન્દ્રિત છે જે ગયા વર્ષે લશ્કર-એ-તય્યબા/ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)માં જોડાયો હતો. TRFના આતંકવાદીઓ પરપ્રાંતીય લોકોને નિશાન બનાવતા હોય છે. આ આતંકવાદીઓ મોટરસાઇકલ પર આવ્યા હતા.
ત્રણથી પાંચ લાખ શ્રમિકો
દર વર્ષે આશરે ૩ લાખથી પાંચ લાખ સ્થળાંતરિત શ્રમિકો ટેમ્પરરી કામ કરવા માટે જમ્મુ અને કાશ્મીર આવે છે. આમાંના મોટા ભાગના શ્રમિકો બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢથી આવે છે. તેઓ બાંધકામ, ઈંટની ભઠ્ઠી, રોડ-પ્રોજેક્ટ્સ, બાગાયતી, કૃષિ, હોટેલ, પર્યટન અને નાના ઉદ્યોગોમાં કામ કરે છે.
