મધ્ય પ્રદેશના છિંદવાડામાં સાસરિયાંઓના ત્રાસથી કંટાળીને ૩૨ વર્ષની પ્રીતિ વર્મા નામની યુવતીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી
તેણે મરતાં પહેલાં લખ્યું હતું, ‘આ લોકો કદી જેલમાંથી બહાર ન આવવા જોઈએ. મને મા-બહેનની ગાળો આપતા હતા. ફોનમાં રેકૉર્ડિંગ છે. પાંચ લોકો છે. તેઓ મને અડે પણ નહીં
મધ્ય પ્રદેશના છિંદવાડામાં સાસરિયાંઓના ત્રાસથી કંટાળીને ૩૨ વર્ષની પ્રીતિ વર્મા નામની યુવતીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. ૧૩ વર્ષ પહેલાં તેનાં લખન વર્મા સાથે લગ્ન થયાં હતાં. સુસાઇડ કરતાં પહેલાં તેણે સુસાઇડ નોટ લખી હતી. જોકે સુસાઇડ નોટ સગેવગે કરી દેવાશે અથવા તો ફાડીને ફેંકી દેવાશે એવા ભયથી તેણે એ નોટ પોતાના હાથ પર જ મેંદીથી લખી હતી. પોતાના શબ સાથે જ પોતાના મૃત્યુની સચ્ચાઈ પણ લોકો સામે આવે એ માટે તેણે મેંદીથી મોટા અક્ષરોમાં હથેળીથી લઈને કાંડા સુધીના હાથ પર સાસરિયાંઓનાં કરતૂતો લખ્યાં હતાં. પ્રીતિના ભાઈ હરિઓમના કહેવા મુજબ બહેનનાં સાસરિયાં તેને માનસિક અને શારીરિક રીતે પજવતાં હતાં. આ બાબતે તેણે પોલીસમાં બેથી ત્રણ વાર ફરિયાદ પણ કરી હતી. દરેક વખતે પતિ લખન વર્મા સમાધાન કરવાનો દાવો કરીને પ્રીતિને પાછો લઈ જતો હતો, પણ ફરીથી એ જ મારપીટ શરૂ થઈ જતી હતી. આખરે પ્રીતિએ ઝેર ખાઈ લીધું હતું. તેને બેહોશ હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. હાથ પર તેણે મરતાં પહેલાં લખ્યું હતું, ‘આ લોકો કદી જેલમાંથી બહાર ન આવવા જોઈએ. મને મા-બહેનની ગાળો આપતા હતા. ફોનમાં રેકૉર્ડિંગ છે. પાંચ લોકો છે. તેઓ મને અડે પણ નહીં. ’ પોલીસ હાથ પર મેંદીથી લખેલી નોટને મુખ્ય પુરાવા તરીકે એના ફોટો અને વિડિયો પણ જાળવશે.
