બફારો અને ઉકળાટ વધ્યા, હવે જળાશયોમાં પાણીના સ્તરની પણ ચિંતા
પ્રતીકાત્મક તસવીર
જુલાઈના પહેલા સપ્તાહથી શરૂ થયેલા વરસાદે મુંબઈ, થાણે, નવી મુંબઈ, વસઈ-વિરાર અને પાલઘર બધે જ ચાર-પાંચ દિવસ સુધી ધમાકેદાર બૅટિંગ કર્યા બાદ બ્રેક લેતાં હવે મુંબઈગરાઓ તથા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ના રહેવાસીઓને ગરમી અને બફારાનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ ૧૮ જુલાઈ સુધી વરસાદ પડવાનાં કોઈ જ એંધાણ ન હોવાથી ગરમીથી રાહત મેળવવા માટે મુંબઈગરાઓએ હજી થોડી રાહ જોવી પડશે. ૨૧થી ૨૪ જુલાઈ વચ્ચે મહારાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાનું પણ હવામાન ખાતાએ જણાવ્યું છે. જોકે આખો જુલાઈ મહિનો પૂરો થાય ત્યાં સુધી ભારે વરસાદ નહીં જ પડે એવી આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં મુંબઈમાં કુલ ૧૧૪૭ મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે.
ગયા અઠવાડિયે MMR, પુણે, રાયગડ, નાશિક જેવા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. જોકે મહારાષ્ટ્રના સોલાપુર, બીડ, લાતુર, પરભણી જેવા અનેક ભાગોમાં જોઈએ એવો વરસાદ હજી સુધી પડ્યો નથી. હવામાન ખાતાએ પહેલેથી જ આ વર્ષે ચોમાસું નબળું રહેશે એવી આગાહી કરી હતી. મહારાષ્ટ્ર સરકારે પણ આગાહીને ધ્યાનમાં રાખીને જળસ્રોત ખાતા સહિતનાં ખાતાંઓને તૈયારીઓ કરવાનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
મુંબઈમાં અડધા વર્ષ કરતાં ઓછો ચાલે એટલો જ પાણીપુરવઠો, મહારાષ્ટ્રના ડૅમમાં કુલ ૪૪ ટકા પાણી
વરસાદે એક ધમાકેદાર ઇનિંગ્સ રમતાં મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડતાં ૭ જળાશયોમાં પાણીની સારી આવક થઈ હતી અને હાલ સાતેય જળાશયોમાં કુલ ૪૯.૯૩ ટકા પાણીપુરવઠો છે જે ફક્ત ૧૫૦ દિવસ ચાલે એટલો જ છે. જો ચોમાસા દરમ્યાન કૅચમેન્ટ એરિયામાં જોઈએ એટલો વરસાદ ન પડે તો પાણીનું ઓછું સ્તર ચિંતાનો વિષય બની શકે. મહારાષ્ટ્રના ૩૦૨૯ ડૅમમાં કુલ પાણીપુરવઠો ૪૪ ટકા છે, જે ગયા વર્ષે જુલાઈ મહિના કરતાં ઓછો છે.
કયા જળાશયમાં કેટલો પાણીપુરવઠો?
જળાશય ટકાવારી
અપર વૈતરણા ૨૮ ટકા
મોડકસાગર ૮૨ ટકા
તાનસા ૭૮ ટકા
મધ્ય વૈતરણા ૪૪ ટકા
ભાત્સા ૪૪ ટકા
વિહાર ૧૦૦ ટકા
તુલસી ૧૦૦ ટકા
