વન-ડેમાં વિશ્વવિજેતા બન્યા બાદ હવે આગામી T20 વર્લ્ડ કપમાં પણ ડંકો વગાડવા ભારતીય મહિલા ટીમો પહોંચી ઉજ્જૈનમાં મહાકાલેશ્વર બાબાના દરબારમાં
ભારતીય મહિલા ટીમો પહોંચી ઉજ્જૈનમાં મહાકાલેશ્વર બાબાના દરબારમાં
ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં ૧૨ જૂનથી વિમેન્સ T20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે. ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે આ સૌથી ટૂંકા ફૉર્મેટમાં પણ વિશ્વવિજેતા બનવા તત્પર છે. એ માટે ટીમે ગઈ કાલે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં જઈને બાબા મહાકાલનાં દર્શન અને આશીર્વાદ લીધાં હતાં. કૅપ્ટન હરમનપ્રીત કૌર, શફાલી વાર્મા, દીપ્તિ વર્મા, રેણુકા સિંહ ઠાકુર, શ્રેયંકા પાટીલ, ક્રાન્તિ ગૌડ, ભારતી ફૂલમણી, અરુંધતી રેડ્ડી વગેરે ફ્લાઇટ દ્વારા શુક્રવારે સાંજે ઇન્દોર પહોંચ્યાં હતાં અને ગઈ કાલે વહેલી સવારે ભસ્મ આરતીમાં સામેલ થયાં હતાં અને વધુ એક વર્લ્ડ કપની ટ્રોફી અપાવવા માટે પ્રાર્થના કરી હતી. વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન પણ ભારતીય મહિલા ટીમ ઇન્દોરમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચ પહેલાં મહાકાલ બાબાનાં દર્શન કરવા આવી હતી. ૧૨ જૂનથી શરૂ થનારા આ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમ ૧૪ જૂને એ પહેલી મૅચ પાકિસ્તાન સામે રમશે.
