સોનલ દિનુશાની સિરીઝમાં બીજી સેન્ચુરી, પસિંદુ સૂરિયાબંદરા ૮ રનથી કમાલ કરવાથી ચૂકી ગયો
બીજી ઇનિંગ્સમાં કમિન્દુ મેન્ડિસ અને પસિંદુ સૂરિયાબંદરાએ ત્રીજી વિકેટ માટે ૧૧૫ રનની પાટર્નરશિપ સાથે એક ઇનિંગ્સની હારનો ખતરો ટાળ્યો હતો.
કોલંબો ટેસ્ટ-મૅચના ગઈ કાલે ચોથા દિવસે ટીમ ઇન્ડિયા શ્રીલંકાને ફૉલો-ઑન આપવા સફળ થઈ હતી પણ યજમાનોએ ત્યાર બાદ પસિંદુ સૂરિયાબંદરા અને કામિન્દુ મેન્ડિસની ફાઇટિંગ હાફ-સેન્ચુરીના જોરે એક ઇનિંગ્સથી હારનો ખતરો ટાળ્યો હતો અને મૅચને છેલ્લા દિવસ સુધી લઈ જવામાં સફળ થયા હતા. ભારતના પહેલી ઇનિંગ્સના ૫૦૩ રનના જવાબમાં શ્રીલંકા ૨૯૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને ફૉલો-ઑન થવું પડ્યું હતું. અંધારિયા વાતાવરણને કારણે મૅચ વહેલી અટકાવવામાં આવી ત્યારે શ્રીલંકાએ ૭૨.૪ ઓવરમાં ૬ વિકેટે ૨૨૯ રન બનાવ્યા હતા. લીડ બાદ કરતાં તેમના ફક્ત ૧૬ જ રન છે અને ૪ વિકેટ જ બાકી છે. સિરીઝનો સ્ટાર સોનલ દિનુશા ૭ અને કેશરા નુવાન્થા ૩ રન બનાવીને અણનમ રહ્યા હતા.

ADVERTISEMENT
પસિંદુ સૂરિયાબંદરાને ૯૨ રન પર રિષભ પંતના હાથે સ્ટમ્પ આઉટ કર્યા બાદ ખુશી વ્યક્ત કરતો માનવ સુથાર.
જીત કે ડ્રૉ વરસાદ કરશે નક્કી

ગઈ કાલે વરસાદે મૅચને વહેલી અટકાવી હતી અને આજે પણ વિઘ્ન નાખી શકે છે.
ભારતના મિશન ક્લીન-સ્વીપને આડે હવે માત્ર વરસાદ વિલન બની શકે છે. ગઈ કાલે વહેલી રમત બંધ થયા બાદ થોડી વારમાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રે અને આજે સવારે વરસાદ પડ્યો તો સોનલ દિનુશા સહિતના ૪ લંકન બૅટરોને વહેલા પૅવિલિયન ભેગા કરીને ટાર્ગેટ હાસિલ કરવા પૂરતો ટાઇમ મળવો મુશ્કેલ બની શકે છે. આમ આજે બન્ને ટીમની નજર વરસાદ પર જ રહેવાની છે. વરસાદ ભારતના વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની આશા પર પણ પાણી ફેરવી શકે છે.

સારાંશ જૈને પહેલી ઇનિંગ્સમાં છેલ્લી બન્ને વિકેટો લઈને લંકનોને ફૉલો-ઑન થવા મજબૂર કર્યા હતા.
દિનુશાની સેન્ચુરી, સૂરિયાબંદરા ચૂક્યો
ગઈ કાલે સવારે શ્રીલંકનને ફૉલો-ઑન કરાવવા છેલ્લી બન્ને વિકેટ ઝડપથી લેવી જરૂરી હતી અને પ્રથમ ટેસ્ટ રમી રહેલા સારાંશ જૈને એ બન્ને વિકેટ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં પણ તેણે નિરોશન ડિક્વેલાની વિકેટ મેળવી હતી. બીજી ઇનિંગ્સમાં સારાંશ ઉપરાંત માનવ સુથારે બે તો પ્રસિદ્ધ ક્રિષ્ણા, મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી. એક સમયે કાલે જ મૅચ સમાપ્ત થઈ જશે એવું લાગી રહ્યું હતું પણ કમિન્દુ મેન્ડિસની ૯૨ બૉલમાં ૩ સિક્સર અને બે ફોર સાથે પંચાવન રનની લડત તથા સિરીઝમાં લંકન ટીમનો હીરો સોનલ દિનુશા (૩૭ બૉલમાં ૭ રન) અને કેશરા નુવાન્થા (૨૯ બૉલમાં ૩ રન)એ ૮.૨ ઓવર સુધી અડગ રહેતાં એક ઇનિંગ્સની નામોશી ટળી હતી અને મૅચ છેલ્લા દિવસ સુધી લંબાઈ હતી. દિનુશા સવારે પહેલી ઇનિંગ્સમાં આ સિરીઝની બીજી સેન્ચુરી પૂરી કરવામાં સફળ થયો હતો પણ બીજી જ ટેસ્ટ રમી રહેલો પસિંદુ સૂરિયાબંદરા માત્ર ૮ રનથી કરિયરની પ્રથમ સેન્ચુરી ચૂકી ગયો હતો. તે ૧૭૩ બૉલમાં એક સિક્સર અને ૧૦ ફોર સાથે ૯૨ રન બનાવીને માનવ સુથારના બૉલમાં રિષભ પંતના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો.
88: રવીન્દ્ર જાડેજાએ આ મૅચમાં કુલ ૩ નૉ-બૉલ નાખીને ૨૦૨૧ બાદ સૌથી વધુ આટલા નૉ-બૉલ નાખનાર સ્પિનરના તેના નામોશીભર્યા રેકૉર્ડને મજબૂત કર્યો હતો
