ભારતીય ઓપનર સાઈ સુદર્શન પગના અંગૂઠાની ઇન્જરીમાંથી સંપૂર્ણપણે સાજો ન થતાં શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ શકે છે. તેના રિપ્લેસમેન્ટ તરીકે સરફરાઝ ખાનનું નામ ચર્ચામાં છે.
સાઈ સુધરસન
ભારતીય ઓપનર સાઈ સુદર્શન શ્રીલંકા સામેની ટેસ્ટ-સિરીઝમાંથી લગભગ આઉટ થઈ ગયો છે. અહેવાલ અનુસાર પગના અંગૂઠાની ઇન્જરીમાંથી તે હજી સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી. ભારતીય ક્રિકેટ બોર્ડે તેની ફિટનેસ વિશે હજી કોઈ ઑફિશ્યલ જાહેરાત કરી નથી.
ગયા મહિને શ્રીલંકા ટૂર દરમ્યાન ઇન્ડિયા A માટે રમતી વખતે પગના અંગૂઠામાં થયેલી ઇન્જરીમાંથી તે હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી. અહેવાલ અનુસાર સેન્ટર ઑફ એક્સલન્સ તરફથી તબીબી અને ફિટનેસ સલાહ આપતાં તેને કહેવામાં આવ્યું છે કે ‘ઇન્જરીમાં નોંધપાત્ર સુધારો થયો છે પરંતુ ટેસ્ટ-ક્રિકેટમાં સુરક્ષિત વાપસી માટે એ હજુ પૂરતું નથી. આ સાવચેતીભર્યા અભિગમનો ઉદ્દેશ્ય લાંબા ગાળે તેનું સતત પ્રદર્શન સુનિશ્ચિત કરવાનો છે.’
સાઈ સુદર્શનના રિપ્લેસમેન્ટ તરીકે મુંબઈનો અનુભવી બૅટર સરફરાઝ ખાન એક સારો વિકલ્પ લાગે છે પરંતુ કોચિંગ સ્ટાફ અને સિલેક્ટશન કમિટીને તેના પર બહુ વિશ્વાસ નથી. ભારત માટે તે છેલ્લે નવેમ્બર ૨૦૨૪માં મુંબઈમાં ન્યુ ઝીલૅન્ડ સામે ટેસ્ટ-મૅચ રમ્યો હતો.
