ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગૉલ (CAB)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘હા, અમે ઈડન ગાર્ડન્સ ખાતે ૨૦૦૧ની ટેસ્ટ-ટીમના પ્લેયર્સનું રીયુનિયન યોજીશું.
કલકત્તાના ઈડન ગાર્ડન્સ ખાતે ૨૦૦૧ની ટેસ્ટ-ટીમના રીયુનિયનનો પ્લાન બનાવી રહ્યો છે સૌરવ ગાંગુલી
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગૉલ (CAB)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘હા, અમે ઈડન ગાર્ડન્સ ખાતે ૨૦૦૧ની ટેસ્ટ-ટીમના પ્લેયર્સનું રીયુનિયન યોજીશું. હું આ માર્ચ મહિનાની શરૂઆતમાં એનું આયોજન કરી રહ્યો હતો, પરંતુ સચિન તેન્ડુલકરના દીકરાનાં લગ્નને કારણે એમાં વિલંબ થયો.’
ટેસ્ટ-ક્રિકેટને મળી રહેલા નવા વેન્યુ વિશે ખુશી વ્યક્ત કરતાં સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ‘ઈડન ગાર્ડન્સ ખાતે શક્ય એટલી વધુ ટેસ્ટ-મૅચોનું આયોજન કરવા માગું છું, પરંતુ એ જોઈને ખુશ છું કે આ પરંપરાગત ફૉર્મેટ ચેન્નઈ, ગુવાહાટી અને રાંચી જેવાં અન્ય સ્થળોએ પણ પહોંચી રહ્યું છે. એ સમજવું પણ મહત્ત્વપૂર્ણ છે કે ટેસ્ટ-મૅચોને અન્ય સ્થળોએ પણ યોજવાની જરૂર છે. ભારતભરનાં સ્ટેડિયમ ઉત્તમ છે. અમારા યુગમાં અમારી પાસે પાંચ નિયુક્ત ટેસ્ટ-વેન્યુ જ હતા. કલકત્તા, કાનપુર, ચેન્નઈ, દિલ્હી અને મુંબઈમાં ટેસ્ટ-મૅચનું પોતાનું એક અનોખું આકર્ષણ હતું.’
ટીમ ઇન્ડિયાના ૨૦૨૬-’૨૭ હોમ સીઝન શેડ્યુલમાં ભારતીય ક્રિકેટ બોર્ડે કલકત્તા અને મુંબઈ જેવાં પરંપરાગત સ્થળોને ઑસ્ટ્રેલિયા સામેની પ્રતિષ્ઠિત બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટે મૅચોનું આયોજન કરવાથી બાકાત રાખ્યાં છે. એના બદલે આવતા વર્ષે ૨૧ જાન્યુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી સુનિશ્ચિત આ સિરીઝની મૅચ નાગપુર, ચેન્નઈ, ગુવાહાટી, રાંચી અને અમદાવાદને ફાળવવામાં આવી છે.
