વન-ડે વર્લ્ડ કપ 2027 વિશે વિરાટ કોહલીનો ભારતીય ક્રિકેટ બોર્ડને સ્પષ્ટ સંદેશ...
વિરાટ કોહલી
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના એક પૉડકાસ્ટમાં અનુભવી બૅટર વિરાટ કોહલીએ વન-ડે વર્લ્ડ કપ 2027 વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વર્લ્ડ કપને હજી ૧૫ મહિના બાકી છે ત્યારે વિરાટની આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ બનવાની ઇચ્છા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘ચોક્કસ હું ક્રિકેટ રમવા માગું છું. હું રમવાનું ચાલુ રાખવા માગું છું.
ભારત માટે વર્લ્ડ કપ રમવું એ એક શાનદાર અનુભવ છે, પરંતુ મૂલ્ય બન્ને તરફથી થવું જોઈએ. જો મને મારી યોગ્યતા અને સુસંગતતા સાબિત કરવાની જરૂર છે તો હું હવે મારી કરીઅરના એ તબક્કે નથી. તો એ મારા માટે યોગ્ય સ્થાન નથી. આનું કારણ એ છે કે હું મારી તૈયારી અને રમત પ્રત્યેના મારા વલણ પ્રત્યે પ્રામાણિક છું.’
વિરાટે વધુમાં કહ્યું હતું કે ‘હું ફક્ત મારું કામ કરું છું. સખત મહેનત કરું છું અને મારા જીવનમાં અને મારી ક્રિકેટ-કરીઅર બન્નેમાં મારી પાસે જેકાંઈ છે એ બધું આપવા બદલ હું ભગવાનનો આભાર માનું છું. હું અતિ ભાગ્યશાળી અને આભારી અનુભવું છું. હું ૫૦ ઓવર સુધી ફીલ્ડિંગ માટે મારી જાતને તૈયાર કરું છું. દરેક બૉલને છેલ્લા બૉલ તરીકે માનું છું. એવી જ રીતે હું મારી બૅટિંગની તીવ્રતા અને પિચ પર સતત દોડવા અને ટીમના હિતમાં યોગદાન આપવા મારી શક્તિથી બધું જ કરવા તૈયાર છું.’
