આયુષ શર્માનું કહેવું છે કે તેને હજી પણ એવું નથી લાગતું કે તે સ્ટાર બની ગયો છે.
આયુષ શર્મા
આયુષ શર્માનું કહેવું છે કે તેને હજી પણ એવું નથી લાગતું કે તે સ્ટાર બની ગયો છે. સલમાન ખાન સાથેની તેની ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’ હાલમાં જ રિલીઝ થઈ છે. તેણે ૨૦૧૮માં આવેલી ‘લવયાત્રી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. સ્ટાર નથી બન્યો એ વિશે આયુષે કહ્યું હતું કે ‘હું સ્ટાર જેવું નથી અનુભવતો. મને એવું લાગી રહ્યું છે કે મેં હજી શરૂઆત જ કરી છે. એવું લાગે છે કે મેં હજી ઇન્ડસ્ટ્રીમાં પગલાં માંડ્યાં છે. હું હજી પણ શીખી રહ્યો છું. હું તો પહેલાં ઍક્ટર બનવાની શરૂઆત જ કરી રહ્યો છું.’
આયુષનો જન્મ હિમાચલ પ્રદેશમાં થયો છે. તેણે સલમાનની બહેન અર્પિતા ખાન સાથે લગ્ન કર્યાં છે. પર્ફોર્મન્સ પર ભરોસો રાખનાર આયુષે કહ્યું હતું કે ‘હું એ વાત પર ભરોસો રાખું છું કે મને જે વસ્તુ પસંદ હોય એ કરવા માટે મારા હાથમાં સ્ક્રિપ્ટ્સ પસંદ કરવાનું છે. સાથે જ શક્ય એટલી સારી રીતે એને પર્ફોર્મ કરવા માગું છું.’
સ્ટારડમ વિશે આયુષે કહ્યું હતું કે ‘સ્ટારડમ શબ્દ તો લોકો અને તેઓ શું ફીલ કરે છે એમાંથી આવ્યો છે. આશા છે કે તેઓ મને આવી રીતે જોવામાં પસંદ કરે. હું મારી જાતને એક શીખી રહેલા ઍક્ટર તરીકે જોઉં છું. હું અંતર્મુખી હોવાથી મોટા ભાગે ઘરમાં રહેવાનું જ પસંદ કરું છું. ઘરમાં બેસીને ફૅમિલી અને બાળકો સાથે સમય પસાર કરું છું. એથી એવું મને જરા પણ નથી લાગતું અને સામાન્ય જીવન જ જીવું છું.’