આ ફિલ્મ બનાવતી વખતે નાની-નાની વાતોનું ધ્યાન રાખીને કરવામાં આવી હતી ગજબની તૈયારી
`ધુરંધર`નો સીન
નેટફ્લિક્સ પર રિલીઝ થયા બાદ પણ ફિલ્મ ‘ધુરંધર’નો ક્રેઝ સતત શિખરે જોવા મળી રહ્યો છે. આ ચર્ચા વચ્ચે એક સોશ્યલ મીડિયા યુઝરે રણવીર સિંહ અને રહમાન ડકૈતની ગૅન્ગના અન્ય સભ્યો દ્વારા બંદૂક પકડવાની રીતમાં રહેલા તફાવત તરફ ધ્યાન દોર્યું છે. આ તફાવત પાછળનું કારણ દિગ્દર્શક આદિત્ય ધરે સમજાવ્યું છે જે જાણીને ખ્યાલ આવશે કે ‘ધુરંધર’ બનાવતી વખતે કેટલી ગજબની તૈયારી કરવામાં આવી હતી.
ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધરે ‘ધુરંધર’ની એક ઝીણી પણ મહત્ત્વની વિગત પર પ્રકાશ પાડ્યો છે. તેણે જણાવ્યું કે રણવીર સિંહનું પાત્ર હમઝા અલી મઝારી બંદૂકને યોગ્ય અને સુરક્ષિત રીતે પકડે છે એટલે કે તેની આંગળી ટ્રિગરથી દૂર રહે છે, જ્યારે દાનિશ પાંડોરનું પાત્ર ઉઝૈર બલોચ બંદૂકને અલગ અને ખોટી રીતે પકડે છે જેમાં તેની આંગળી સીધી ટ્રિગર પર હોય છે. આ તફાવત વધુ સ્પષ્ટ થાય એ માટે આદિત્ય ધરે હમઝા અને ઉઝૈરની તસવીરો પણ શૅર કરી છે.
ADVERTISEMENT
આદિત્ય ધરે પોતાની પોસ્ટ સાથે લખ્યું કે ‘હમઝા જરૂર પડે ત્યાં સુધી ટ્રિગરથી આંગળી દૂર રાખે છે અને વિચારપૂર્વક ગોળી ચલાવે છે, જ્યારે ઉઝૈરની આંગળી હંમેશાં ટ્રિગર પર રહે છે, જેના કારણે ગુસ્સામાં કે ભૂલથી ગોળી છૂટવાની શક્યતા રહે છે અને નિર્દોષ લોકો ઘાયલ થઈ શકે છે.’


