ભારતના બિમલ રૉય અને ગુરુ દત્ત આ વિચારધારામાં માનતા હતા. બાકી મોટા ભાગના પ્રોડ્યુસર-ડિરેક્ટર્સ માટે ફિલ્મમેકિંગ એક વ્યવસાય હતો
પ્રકાશ મેહરા
‘We don’t make films to make money, we earn money so we can make films.’
Walt Disney
ADVERTISEMENT
વિખ્યાત ફિલ્મમેકર વૉલ્ટ ડિઝની કહે છે, ‘અમે પૈસા કમાવા માટે ફિલ્મો નથી બનાવતા, અમે એટલા માટે પૈસા કમાઈએ છીએ કે ફિલ્મો બનાવી શકીએ.’
ભારતના બિમલ રૉય અને ગુરુ દત્ત આ વિચારધારામાં માનતા હતા. બાકી મોટા ભાગના પ્રોડ્યુસર-ડિરેક્ટર્સ માટે ફિલ્મમેકિંગ એક વ્યવસાય હતો. એ લિસ્ટમાં પણ અમુક તો કેવળ મસાલા ફિલ્મો જ બનાવતા. આજે એમાંના એક પ્રકાશ મેહરાની વાત કરવી છે.
મારી લાઇબ્રેરીમાં એક જૂનો ઇન્ટરવ્યુ છે જેમાં વર્ષો પહેલાં પ્રકાશ મેહરાએ રેડિયો પર પોતાના જીવન અને ફિલ્મો વિશે વાતો કરી હતી. તેમના જ શબ્દોમાં એ યાદો પ્રસ્તુત છે ઃ
મારો જન્મ ઉત્તર પ્રદેશના બિજનૌરમાં થયો. પિતા ધર્મધ્યાનમાં મશગૂલ એટલે વૈરાગ્યભરી જિંદગી જીવે. મમ્મીએ જ અમારો ઉછેર કર્યો. નાનપણથી જ જીવનમાં એકલતાનો અનુભવ કરતો. અભ્યાસમાં હું સાધારણ. બિજનૌરમાં મેટ્રિકની પરીક્ષા આપી ત્યારે ગણિતમાં ૩ માર્ક ઓછા આવ્યા અને હું નાપાસ થયો. થોડા દિવસ બાદ મમ્મીનું અવસાન થયું એટલે માસી દિલ્હી લઈ ગઈ. ત્યાં ફરી મેટ્રિકની પરીક્ષા આપી પણ બે માર્ક ઓછા આવ્યા.
માસાનો કેમિકલનો ધંધો એટલે ભણવાનું છોડી એમાં જોડાઈ ગયો, પણ મન લાગતું નહોતું. ફિલ્મો જોવાનો ખૂબ શોખ. પાંચ આનાની ટિકિટમાં અઢળક ફિલ્મો જોઈ છે. જીવનમાં એક ખાલીપો હતો. જીવ ગૂંગળાતો હતો. એક દિવસ નક્કી કર્યું કે મુંબઈ જઈને નસીબ અજમાવવું જોઈએ. કોઈને કહ્યા વિના ખિસ્સામાં ૧૩ રૂપિયા લઈને જનતા મેલ પકડીને હું મુંબઈ મામાને ઘેર પહોંચ્યો.
મામા આર્મીમાં હતા. મને જોઈ ખુશ થયા. કહે, ‘મુંબઈ આવ્યો છે તો હર, ફર. જલસા કર.’ તેમને હતું કે થોડા દિવસ ફરવા આવ્યો છું. ચાર દિવસ પછી દિલ્હીથી ટેલિગ્રામ આવ્યો કે પ્રકાશ ગુમ થઈ ગયો છે. ત્યાં આવ્યો છે? ત્યારે તેમને ખબર પડી. કહે, ‘ફિલ્મલાઇનમાં જવું હોય તો ઘરની બહાર નીકળ.’ હું રસ્તા પર આવી ગયો. ફુટપાથ પર, બગીચામાં, ડેપોમાં ખાલી ટ્રામમાં સૂવાના દિવસો આવ્યા.
દસ-વીસ પૈસાના ચણા ખાઈને પેટ ભરું. એ દિવસોમાં ટ્રામમાં ટિકિટ વિના સફર કરતો. ફિલ્મલાઇનમાં કોઈની સાથે ઓળખાણ નહોતી. ધક્કા ખાઉં પણ કોઈ સ્ટુડિયોમાં જવા ન દે. એક દિવસ ટ્રામમાં જતો હતો ત્યાં કારદાર સ્ટુડિયોનું બોર્ડ જોયું અને હું ઊતરી ગયો. ગેટકીપરની નજર ચૂકવીને અંદર ગયો. ‘બાપ રે બાપ’નું શૂટિંગ ચાલતું હતું. પહેલી વાર કિશોર કુમારને જોવાનો મોકો મળ્યો.
ભૂખ લાગી એટલે સ્ટુડિયોની કૅન્ટીનમાં ગયો. ખિસ્સામાં બેઅઢી રૂપિયા બચ્યા હતા. ચા અને બિસ્કિટ ખાધાં. આ દિવસો કેમ નીકળશે, મારું ભવિષ્ય શું છે એવા વિચારો કરતો કલાકો સુધી ત્યાં બેસી રહ્યો. કૅન્ટીનનો માલિક વિચારે કે ક્યારનો આ છોકરો ચિંતામાં બેઠો છે એટલે દયા આવી. મને કહે, ‘કુછ ખાએગા?’ મેં ના પાડી. કહે, ‘શું વિચાર કરે છે?’ મારી વાત સાંભળી કહે, ‘ચિંતા ન કર. હું પણ બિજનૌરનો છું. અહીં મોટા-મોટા સ્ટાર્સને પણ આવી જ સ્ટ્રગલ કરવી પડી છે. તુઝે કુછ બનના હૈ તો મેહનત કરની પડેગી.’ તેના મિત્રો સાથે ઓળખાણ કરાવી. એ સૌ ઉત્તર પ્રદેશના હતા. મને કહે, ‘રહેવાની ચિંતા ન કરતો. અમારી સાથે રહેજે.’
મારે હીરો નહોતું બનવું પણ ફિલ્મોને લગતું કામ કરવું હતું. કામ માટે ફાંફાં મારતો હતો. નસીબજોગે એક દિવસ ફિલ્મ્સ ડિવિઝનના મૌર્યસાહેબ સાથે ઓળખાણ થઈ. મેં કહ્યું, મને કામ આપો. મને એમ કે તેઓ મોટી ફિલ્મો બનાવતા હશે જેમાં રાજ કપૂર અને દિલીપકુમાર જેવા હીરો કામ કરતા હશે. તેમણે હકીકત સમજાવી. મેં મારા દિલની વાત કરી. તે કહે, ‘મહિનાના ૩૦ રૂપિયા મળશે. જે કહું એ કામ કરવું પડશે.’ મેં હા પાડી. નાના-મોટા દરેક કામ કરતો. ત્યાં કૅમેરા કેમ ફોકસ કરવો એ ટેક્નિક જાણવા મળી. હું દિલ લગાવીને કામ કરતો. ખુશ થઈ તેમણે મારો પગાર ૬૦ રૂપિયાનો કર્યો. હું કહેતો મને ફિલ્મોને લગતું કામ આપો. તેમણે મને ફિલ્મ્સ ડિવિઝનની ફિલ્મોની સ્ક્રિપ્ટની કૉપી કરવાનું કામ આપવા માંડ્યું.
તેમની ભલામણથી હું વિનોદ દેસાઈને વિલે પાર્લે મળવા ગયો. તે ‘રાજા વિક્રમ’ નામની ફિલ્મ બનાવતા હતા. ત્યાં પહોંચ્યો તો તેમના અસિસ્ટન્ટે ઑફિસ બહાર બેસવાનું કહ્યું. સાંજ પડી એટલે કહે, ‘મોડું થઈ ગયું છે, કાલે આવજે.’ ભૂખ લાગી હતી એટલે ચણા ખાતા ફરતાં-ફરતાં હું ઍરપોર્ટ આવ્યો. ત્યાં કોઈએ કહ્યું, ‘સામાન ઉપાડીશ?’ મેં હા પાડી. એ રાતે મજૂરીના પાંચ રૂપિયા મળ્યા. હું તો બાદશાહ બની ગયો. એ રાતે સામે આવેલા ગાર્ડનમાં જ સૂઈ ગયો.
બીજા દિવસે વિનોદ દેસાઈને મળ્યો. મારી પૂરી વાત સાંભળી કહે, ‘મારી પાસે કામ નથી પણ મારા મિત્ર ‘નાગ દેવતા’ બનાવે છે. હું તેમની સાથે વાત કરીશ.’ હું જ્યાં રહેતો હતો ત્યાં મને ફાવતું નહોતું. મેં વિનોદ દેસાઈને કહ્યું, ‘તમારે ઘરે કામ હોય તો પણ હું કરવા તૈયાર છું.’ તેમણે હા પાડી એટલે તેમના મરીન ડ્રાઇવના ઘરની બાલ્કનીમાં સૂવાની વ્યવસ્થા કરી. હું ઘરકામ કરતો અને જ્યારે શૂટિંગ હોય ત્યારે સ્ટુડિયો જતો. જિંદગી હજી પાટે ચડી નહોતી પણ કશું કરવું છે એ ઝનૂન મને બળ આપતું હતું.
મને વાંચવાનો અને લખવાનો શોખ હતો. મારી મમ્મી ઇન્દ્રાવતી ગાતાં અને લખતાં. તેમનો વારસો મને મળ્યો છે. વિનોદ દેસાઈ સાથે કામ કરતાં કોઈ વાર નાના-મોટા સંવાદો લખવાનો મોકો મળતો. ધીમે-ધીમે ફિલ્મમેકિંગના પાઠ ભણવા મળતા હતા. મારા કામથી તે ખુશ હતા. મારો પગાર હતો ૧૫૦ રૂપિયા. એક દિવસ હું ઓ. પી. નય્યરને મળવા ગયો જે સામેના જ બિલ્ડિંગમાં રહેતા હતા. મેં થોડાં ગીતો લખ્યાં હતાં. મને કહે, ‘તારી પાસે કળા છે પરંતુ મહેનત કરવી પડશે. પ્રયત્ન કરતો રહેજે. એક દિવસ જરૂર સફળતા મળશે.’
મારી મહેનત અને ઈમાનદારી જોઈને વિનોદ દેસાઈએ મારો પગાર ૩૦૦ રૂપિયા કર્યો. હું પ્રોડક્શન કન્ટ્રોલર ઉપરાંત તેમનો અસિસ્ટન્ટ બની ગયો હતો. એ દરમ્યાન મને જયરાજ અને નિરુપા રૉયની ફિલ્મ માટે ૨૫,૦૦૦ રૂપિયાની ડિરેક્શનની ઑફર આવી. મન તો લલચાઈ ગયું, પણ લોકોએ સલાહ આપી કે એક વાર હિસ્ટોરિકલ કે માયથોલૉજિકલ ફિલ્મોમાં ઘૂસી જઈશ તો મોટી ફિલ્મો હાથમાં નહીં આવે. મેં ના પાડી દીધી. ઇન્ડસ્ટ્રીમાં મારી વાતો થવા માંડી કે ૩૦૦ રૂપિયા કમાતા આ યુવાને આટલી મોટી ઑફર ન સ્વીકારી, નક્કી તેનામાં દમ હશે.
મારા મિત્ર ઇન્દુભૂષણ ખૂબ પૈસાદાર. કહે, ફિલ્મ બનાવવી છે. મેં કહ્યું, ઉતાવળ ન કરો. સારી સ્ક્રિપ્ટ મળશે તો જ આગળ વધીશું. થોડા સમય બાદ એસ. એમ. અબ્બાસની એક સ્ક્રિપ્ટ હાથમાં આવી અને અમે નક્કી કર્યું કે ફિલ્મ શરૂ કરીએ. આમ ડિરેક્ટર તરીકેની મારી પહેલી ફિલ્મ ‘હસીના માન જાએગી’ની (૧૯૬૮) શરૂઆત થઈ. ફિલ્મ હિટ થઈ અને મારું નામ થઈ ગયું.
એ દિવસોમાં હું પાર્લામાં એક ક્રિશ્ચયન ફૅમિલી સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. એક દિવસ ઘરમાં આવ્યો તો જોયું કે ત્રણ-ચાર ચેક હતા જેમાં લોકોએ ડિરેક્શનની ઑફર કરી હતી. એક કવર હતું જેમાં નડિયાદવાળાએ ૫૦,૦૦૦ રૂપિયા મોકલાવ્યા હતા જે ચાર ફિલ્મો માટે ઍડ્વાન્સ હતા. મનમાં થયું એક ફિલ્મના ડિરેક્શનમાં કેટલું ટેન્શન હોય છે તો ચાર ફિલ્મ કેવી રીતે કરીશ? જૉની વૉકર સાથે મારી સારી મૈત્રી હતી. તેમણે સલાહ આપી. કોઈને ના ન પાડતો. પણ મેં કેવળ મલિકચંદ ગોચરની ઑફર સ્વીકારી, કારણ કે મને કહે, ‘રાજ કપૂર અને શશી કપૂર સાથે ફિલ્મ બનાવવી છે.’
ડિરેક્શનના મને ૫૦,૦૦૦ મળવાના હતા. ૨૫,૦૦૦ ઍડ્વાન્સ આપ્યા. ફિલ્મ શરૂ થઈ ત્યારે કહે, રાજ કપૂર બહુ બિઝી છે. આપણે રાજેન્દ્રકુમારને સાઇન કર્યો છે. મેં કહ્યું, ‘મેં તો રાજ કપૂરના નામ પર હા પાડી હતી. લો તમારા પૈસા પાછા.’
તો ગુસ્સે થઈને કહે, ‘તું કંઈ પણ નહોતો ત્યારે મેં તને સાઇન કર્યો છે. આટલો ઘમંડ સારો નથી.’ હું રાજી નહોતો પણ મિત્રોએ મનાવ્યો અને મેં ‘આનબાન’ ડિરેક્ટ કરી. જોકે એને રિલીઝ થતાં ત્રણ વર્ષ નીકળી ગયાં.
‘હસીના માન જાએગી’ બાદ ‘મેલા’ અને ‘સમાધિ’ની સફ્ળતાએ પ્રકાશ મેહરાને ઇન્ડસ્ટ્રીમાં એસ્ટાબ્લિશ કર્યા. આ મુકામ પર તેમણે નક્કી કર્યું કે હવે પોતે જ પોતાની રીતે પ્રોડ્યુસર-ડિરેક્ટર તરીકે ફિલ્મો બનાવશે. તેમણે સારી સ્ક્રિપ્ટ શોધવાની શરૂઆત કરી અને ફળસ્વરૂપે તેમના હાથમાં જે સ્ક્રિપ્ટ આવી એ ફિલ્મે હિન્દી ફિલ્મના ઇતિહાસમાં એક નવો અધ્યાય રચ્યો. એ ફિલ્મ હતી ‘ઝંજીર’. એના નિર્માણ પાછળની રસપ્રદ વાતો આવતા રવિવારે.

