લાતુરના રોડ-શોમાં રિતેશ દેશમુખે આવું કહીને ફૅન્સને મૂવી જોવા માટે અપીલ કરી
લાતુરના રોડ-શોમાં રિતેશ દેશમુખ
રિતેશ દેશમુખ પોતાની લેટેસ્ટ ફિલ્મ ‘રાજા શિવાજી’ને મળેલા હકારાત્મક પ્રતિસાદથી ખુશ છે અને આ કારણે જ તેણે શનિવારે લાતુરમાં રોડ-શો યોજીને ફૅન્સ સાથે મુલાકાત કરી હતી. આ ઐતિહાસિક ફિલ્મનું ડિરેક્શન રિતેશ દેશમુખે કર્યું છે અને ફિલ્મમાં તેણે છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા પણ નિભાવી છે. ફિલ્મને મળેલા પ્રતિભાવથી ઉત્સાહિત રિતેશ અને તેની પત્ની જેનિલિયા દેશમુખે શનિવારે સાંજે લાતુરના એક સિનેમા-હૉલમાં અચાનક મુલાકાત લીધી તેમ જ રોડ-શો કરીને બન્ને જગ્યાએ ફૅન્સ સાથે વાત કરી હતી.
રોડ-શો દરમ્યાન રિતેશે છત્રપતિ શિવાજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અહીં ફૅન્સને સંબોધતાં રિતેશે કહ્યું હતું કે આ ‘રાજા શિવાજી’ ફિલ્મ લાતુરના દીકરાએ બનાવી છે, તમે આને તમારી પોતાની ફિલ્મ માનો અને પરિવાર સાથે જઈને જુઓ.
ADVERTISEMENT
રાજા શિવાજીની સફળતા પછી પુણેના દગડૂશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં આભાર માનવા પહોંચ્યો રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખ પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાજા શિવાજી’ની જબરદસ્ત સફળતા બાદ આશીર્વાદ લેવા માટે પુણેના દગડૂશેઠ હલવાઈ ગણપતિ મંદિરે પહોંચ્યો હતો. રિતેશે અહીં પૂજા-અર્ચના કરીને ફિલ્મની સફળતા માટે ભગવાનનો આભાર માન્યો હતો.
મંદિરમાં દર્શન કર્યા બાદ રિતેશ દેશમુખે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘આ મંદિર ખૂબ પવિત્ર સ્થળ છે. જ્યારે પણ મને તક મળે ત્યારે હું અહીં જરૂર આવું છું. મારા પિતા વિલાસરાવ દેશમુખ પણ દર વર્ષે અહીં દર્શન કરવા આવતા હતા.’
‘રાજા શિવાજી’ને મળેલી સફળતા વિશે વાત કરતાં રિતેશે કહ્યું હતું કે ‘મને આશા નહોતી કે ફિલ્મને આટલો સારો પ્રતિસાદ મળશે. જે રીતે લોકો થિયેટરમાં આવીને ફિલ્મ જોઈ રહ્યા છે અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે એ જોઈને હું ખૂબ ભાવુક થઈ ગયો છું. દર્શકોનો આ પ્રેમ મારા માટે કોઈ મોટા અવૉર્ડથી ઓછો નથી અને હું દિલથી સૌનો આભાર માનું છું.’
