શિલ્પા શેટ્ટીએ નેપાળના કાઠમાંડુ સ્થિત પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં દર્શન કરીને આધ્યાત્મિક પળોની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી. પીળા પરંપરાગત વસ્ત્રોમાં તેનો ભક્તિમય અંદાજ ચાહકોને પસંદ આવ્યો.
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી હાલમાં નેપાલના કાઠમાંડુ સ્થિત પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી. શિલ્પાએ આ પવિત્ર યાત્રાની સુંદર ઝલક સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. તેણે મંદિરની સામે હાથ જોડીને ઊભેલી પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તે પીળા રંગનાં પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળી રહી છે.
પશુપતિનાથ મંદિર ભગવાન શિવના પશુપતિ સ્વરૂપને સમર્પિત છે. નેપાલના કાઠમાંડુમાં પવિત્ર બાગમતી નદીના કિનારે આવેલું આ મંદિર દક્ષિણ એશિયાનાં સૌથી પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંનું એક માનવામાં આવે છે. ૧૯૭૯થી આ મંદિરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે.
જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરનું બ્રાઇડલ ફોટોશૂટ
ADVERTISEMENT

ફિલ્મ ‘ધડક’થી દર્શકોનાં દિલ જીતી લેનારી જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની જોડી લગભગ ૮ વર્ષ બાદ ફરી એક વાર સાથે જોવા મળી છે. હાલમાં બન્નેની એક તસવીર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે જેમાં બન્ને દુલ્હન અને દુલ્હાના લુકમાં નજર આવી રહ્યાં છે. આ તસવીરમાં ઈશાન આઇવરી રંગની શેરવાની અને મૅચિંગ પાઘડીમાં જોવા મળે છે, જ્યારે જાહ્નવી લાલ રંગના ગોલ્ડન વર્કવાળા સુંદર લેહંગામાં જોવા મળે છે. જાહ્નવીએ ભારે જ્વેલરી પણ પહેરી છે. આ તસવીર જોઈને ઘણા લોકો એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે જાહ્નવી અને ઈશાન ટૂંક સમયમાં કોઈ નવી ફિલ્મમાં સાથે જોવા મળશે. જોકે રિપોર્ટ મુજબ આ તસવીરો એક જાહેરાતના શૂટ દરમ્યાન લેવામાં આવી છે.
ખુશી કપૂરે ઇટલીમાં ઍન્જોય કર્યું સ્ટાઇલિશ વેકેશન

બોની કપૂર અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂરે સોશ્યલ મીડિયા પર ઇટલીમાં માણેલા તેના લેટેસ્ટ વેકેશનની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેણે અલગ-અલગ ફરવાની જગ્યાઓ પર પહેરેલા સ્ટાઇલિશ આઉટફિટે ફૅશનપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. ખુશીનાં આ આઉટફિટ યુરોપિયન સમરની નિરાંતે ભરેલી ફૅશનને સુંદર રીતે રજૂ કરે છે. પિંક શેડ્સ, કલરફુલ કૉમ્બિનેશન, બોલ્ડ પ્રિન્ટ્સ અને સરળ ઍક્સેસરીઝ સાથેના ખુશીના દરેક લુકની ચર્ચા થઈ રહી છે.
કરિશ્મા તન્ના નવજાત દીકરા સાથે હૉસ્પિટલમાંથી ઘરે પરત ફરી

કરિશ્મા તન્ના અને તેના પતિ વરુણ બંગેરાના ઘરે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે દીકરાનો જન્મ થયો છે. કરિશ્મા અને વરુણનાં ૨૦૨૨માં લગ્ન થયાં હતાં. લગ્નનાં લગભગ ચાર વર્ષ બાદ બન્ને પેરન્ટ્સ બન્યાં છે. આ પછી ગઈ કાલે કરિશ્માને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડિસ્ચાર્જ પછી કરિશ્મા અને વરુણ નવજાત દીકરાને ઘરે લઈ જતી વખતે ક્લિક થઈ ગયાં હતાં.
