અન્ય પ્રાઇમ ટાઇમ શોઝની સરખામણીએ પ્રદર્શન નબળું છે એટલે ચૅનલે મેકર્સને રૅન્કિંગ સુધારવાની નોટિસ આપી
યહ રિશ્તા ક્યા કહલાતા હૈ
ટેલિવિઝન-શો ‘યહ રિશ્તા ક્યા કહલાતા હૈ’ છેલ્લાં ૧૬ વર્ષથી દર્શકોનાં દિલો પર રાજ કરી રહ્યો છે. શોની શરૂઆત હિના ખાન અને કરણ મેહરાએ કરી હતી. અત્યાર સુધીમાં શોમાં અનેક લીપ્સ બતાવવામાં આવ્યા છે અને ૪ પેઢીની વાર્તા રજૂ કરવામાં આવી છે. હાલ શોમાં ચોથી પેઢીની સ્ટોરી ચાલી રહી છે જેમાં રોહિત પુરોહિત અને સમૃદ્ધિ શુક્લા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. જોકે અનેક ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન છતાં હવે શોની વાર્તા દર્શકોને ખાસ મનોરંજન આપી શકતી નથી જેના કારણે શોના TRPમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમય એવો હતો જ્યારે આ સિરિયલ ટૉપ થ્રીમાં સ્થાન જાળવી રાખતી હતી, પરંતુ હવે ટૉપ ટેનમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. પ્રાઇમ ટાઇમમાં પ્રસારિત થવા છતાં શો હાલમાં TRP-ચાર્ટમાં નવમા અને દસમા ક્રમે ચાલી રહ્યો છે. રિપોર્ટ મુજબ અન્ય પ્રાઇમ ટાઇમ શોઝની સરખામણીએ પ્રદર્શન નબળું રહેતાં ચૅનલે મેકર્સને નોટિસ આપી છે અને આ વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થાય એ પહેલાં રેટિંગમાં સુધારો જોવા મળે એવી ચૅનલની ડિમાન્ડ છે. એવા સંજોગોમાં ચૅનલ ઇચ્છે છે કે શોની વાર્તામાં મજબૂત ફેરફારો કરીને દર્શકોને ફરીથી આકર્ષવામાં આવે અને રેટિંગમાં સુધારો લાવવામાં આવે. જો એવું નહીં થાય તો શો બંધ થઈ શકે છે.
