૧૫ દિવસ પછી ભગવાન સ્વસ્થ થાય છે ત્યારે ‘નૈનાસર ઉત્સવ’ ઊજવવામાં આવે છે એટલે કે રથયાત્રા કાઢવામાં આવે છે.
ગઈ કાલે સ્નાન પૂર્ણિમાનું પવિત્ર સ્નાન કર્યા પછી પુરીમાં ભગવાન જગન્નાથ, બાલભદ્ર અને દેવી સુભદ્રાનો ગજાનન વેશમાં શણગાર કરવામાં આવ્યો હતો.
ઓડિશાના પુરી જગન્નાથ ધામમાં, અમદાવાદના જગન્નાથ મંદિરમાં અને બીજે બધે ગઈ કાલે સ્નાન પૂર્ણિમાની વિધિ થઈ હતી. સ્નાન પૂર્ણિમા બાદ રથયાત્રાના ૧૫ દિવસ પહેલાં ભગવાન બીમાર રહે છે. સ્નાનયાત્રા વખતે ભગવાન તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મંદિર પરિસરમાંથી બહાર આવે છે અને ભક્તોને દર્શન આપે છે. તેમને ૧૦૮ સોનાના ઘડાથી સ્નાન કરાવવામાં આવે છે જેમાં બધાં તીર્થસ્થાનોનું પાણી ભેળવવામાં આવે છે. આ ઉપરાંત સ્નાનના પાણીમાં ચંદન, ગુલાબ, ઘી, દહીં વગેરે ભેળવવામાં આવે છે. આ પછી ભગવાનને શણગારવામાં આવે છે. સ્નાનયાત્રામાં દેવી સુભદ્રાને અલગથી સ્નાન કરાવવામાં આવે છે. સ્નાનયાત્રા પછી ભગવાન ૧૫ દિવસ સુધી બીમાર પડે છે જેને ‘અનાસર કાલ’ કહેવામાં આવે છે. આ પરંપરાને અનસાર પણ કહેવામાં આવે છે. ૧૫ દિવસ પછી ભગવાન સ્વસ્થ થાય છે ત્યારે ‘નૈનાસર ઉત્સવ’ ઊજવવામાં આવે છે એટલે કે રથયાત્રા કાઢવામાં આવે છે.
કેમ ભગવાન ૧૫ દિવસ માટે માંદા પડી જાય છે?
ADVERTISEMENT
પુરીમાં માધવદાસ નામના એક ભક્ત હતા જે સદા ભગવાન જગન્નાથની પૂજા-અર્ચનામાં લીન રહેતા હતા. એક વાર માધવદાસ બહુ બીમાર પડી ગયા. એમ છતાં તેમણે ભગવાનની સેવા કરવાનું બંધ ન કર્યું. લોકોએ તેમને વૈદ્ય પાસે જવાનું કહ્યું, પણ તેઓ ન જ માન્યા. આખરે તેઓ મંદિરમાં જ બેભાન થઈને પડી ગયા. એ સમયે સ્વયં ભગવાન જગન્નાથ તેમની પાસે આવ્યા અને ભક્તની સેવા કરવા લાગ્યા. માધવદાસ ઠીક થયા ત્યારે તેમણે ભગવાનને પૂછ્યું કે તમે મારી સેવા કેમ કરો છો? ત્યારે ભગવાને કહ્યું હતું, ‘હું કદી મારા ભક્તનો સાથ નથી છોડતો. જોકે બધાને તેમનાં કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે. તારી ૧૫ દિવસની માંદગી મેં મારા પર લઈ લીધી છે.’ આ ઘટના જ્યારે થઈ એ જેઠ પૂર્ણિમા હતી. એટલે જ દર વર્ષે પૂર્ણિમાના સ્નાન પછી ૧૫ દિવસ માટે ભગવાન બીમાર પડી જાય છે.

